તમે ભૂતમાં માનો છો? તમે ભગવાનમાં માનો છો?
તમે ભૂતમાં માનો છો ? તમે ઈશ્વર કે ભગવાનમાં માનો છો? આ બધા જ સવાલોમાં આપણને રસ પડે છે. કારણ કે એક એવી સૃષ્ટિની વાત છે કે જેને સાબિત નથી કરી શકાતી. આપણને અગોચરમાં વધારે રસ પડે છે, કારણ એક રહસ્ય એની પાછળ છુપાયેલું હોય છે. એ રહસ્યમાં આપણને રસ પડે છે. ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય એ વ્યક્તિની હકિકતે તો રહસ્યમાં રસ પડતો હોય છે. એટલે જ જ્યારે કોઈ કહે કે હું ભગવાનમાં માનું છું કે મેં ભૂત જોયું છે એટલે તરત જ સામે સવાલો ઉઠે અચ્છા ! સાબિત કરો. કેટલીક બાબતો એવી હોય છે કે જેને એક વત્તા એક બરાબર બે ની જેમ સાબિત કરી શકાતી નથી. જો એ રીતે ભગવાનનું અસ્તિત્વ સાબિત કરી શકાતું હોત તો પછી વિજ્ઞાને એના ઉપર અનેક સ્તરે કામ કર્યું જ હોત. તે છતાં તમને આપણને અનેક ડોક્ટર કે વિજ્ઞાનીઓ પણ ભગવાનમાં માનતા જોવા મળે જ છે. એનો અર્થ શું થયો? ચંદ્ર પર યાન મોકલાવ્યું કે મંગળ પર યાન મોકલતાં પહેલા આપણે ત્યાં વિજ્ઞાનીઓ પૂજા પાઠ કરતા હોય છે એની તસવીરો વાયરલ થતી હોય છે. કેટલાકને એ વાહિયાત વાત લાગે અને કેટલાકને લાગે કે જુઓ આ આપણો ધર્મ છે. કોઈપણ નવું કાર્ય કરતાં પહેલાં પૂજાપાઠ કરવી એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ માણસને હંમેશા પોતે જે સમજી ન શકતો હોય એવા રહસ્યમાં રસ પડતો હોય છે.
હું ભગવાનમાં માનું છું. એવું કહું એટલે મને તરત જ સામે સવાલો આવે અને એટલે જ હું અથવા તો મારા જેવી અનેક વ્યક્તિઓ એવું કહેવાનું ટાળતી હોય છે. કારણ કે અમારે કોઈની સામે સાબિત નથી થવું હોતું. ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવું કે ન સ્વીકારવું એ અંગત બાબત હોઈ શકે છે. એને દલીલોમાં સ્ટેજ ઉપર મૂકી ન શકાય. રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ મહેતા કે મીરાંબાઈ જેવા ભક્તો-સંતો ક્યારેય પોતાની ભક્તિ સાબિત કરવા લોકો પાસે નથી ગયા. લોકો એમની પાસે આવ્યા છે. કૂતુહુલવશ કારણ કે તેમને પણ આધ્યાત્મિક હોવું એટલે શું સમજવું હોય છે. ભક્તિ વિશેના કે ભગવાન વિશેના રહસ્યનો તાગ મેળવવો હોય છે. આ સવાલોના જવાબ દરેક વ્યક્તિએ જાતે શોધવાના હોય છે. સાચી આધ્યાત્મિક કે ભક્ત પાસે જ્યારે કોઈ વ્યક્તિ સવાલ લઈને જાય છે ત્યારે તેઓ સરળતાથી કહે છે કે હું તો આ કરું છું અને મને આવી અનુભૂતિ થઈ તમે પણ કરી જુઓ કદાચ તમને પણ થશે. એ લોકોએ ક્યારેય મોટો ભક્ત સમુદાય કરવાનો પ્રયત્ન નથી કર્યો. આજે પણ જો રામકૃષ્ણ પરમહંસ હોત તો અન્ય જાણીતા પ્રસિદ્ધ ગુરુઓની જેમ એમણે ક્યારે પોતાની જાતને સોશિયલ મીડિયામાં કે ટીવી ઉપર જાહેર ન જ કરી હોત. એમણે હંમેશા એવું કરવાનું ટાળ્યું હોત. અને આવું બન્યું પણ છે. જેમને હું મળી છું એવા ગોંડલના નાથાભાઈ જોશી. છેલ્લા ૩૩ વર્ષથી હું તેમની પાસે જતી હતી. કારણ કે મારી શોધ હતી. મારે પણ જાણવું હતું કે ખરેખર ભગવાન છે કે નહીં? નાથાભાઈ જોશી પાસે ગઈ તે પહેલાં મેં જે કૃષ્ણમૂર્તિ, ડોંગરે મહારાજ, પાડુંરંગ આઠવલે, વગેરે અનેકને વાંચ્યા, સાંભળ્યા હતા. મકરંદ દવેને તો હું મળી પણ હતી અને સવાલો ય કર્યાં હતાં. તે છતાં મને પ્રશ્નો હતાં. એના જવાબો હું શોધતી હતી. અને ગોંડલ પહોંચી નાથાભાઈને મળી ત્યારબાદ ધીમે ધીમે મારા સવાલોના જવાબો મળ્યાં. એમણે હંમેશા પત્રકારોને અને લેખકોને વારંવાર કહ્યું છે કે મારા વિશે ક્યાંય લખશો નહીં. તમારે લખવું હોય તો જ્યારે હું સદેહે ન રહું ત્યારે ભલે લખજો.
જ્યારે તેઓ જીવંત હતા ત્યારે એમણે ક્યારેય પણ પોતાના વિશે એક શબ્દ જાહેરમાં ન લખાય એની તકેદારી રાખી હતી. તે છતાં મારા જેવાં અનેક જીજ્ઞાસુઓ તેમની પાસે પહોંચી જતાં. હું ત્યારે સક્રિય પત્રકાર તરીકે કામ કરતી હતી. અમારા જેવા ઘણાં ને એવું થતું કે નાથાભાઈ વિશે અમે લોકોને કહીએ. અમે જે ફળ ખાઈએ છીએ અને બહુ મીઠાં છે. અને અહીં મળશે એવું કહેવાનું શું કામ નહીં? એવો પ્રશ્ર્ન થતો પણ આજે જ્યારે અન્ય સમુદાયો જોઈએ છીએ અને લોકોનાં ટોળાં શું કરે છે તે જોઈએ છીએ. ગુરુના નામ લેતાંની સાથે લોકોમાં આવતો ઉનમાદ કે કલ્ટ જોઉં છું. જેને પોતાની આધ્યાત્મિકતા માટે જાહેરાતો કરવી પડે છે અથવા તો એક જાતની સત્તા સ્થાપિત કરવાંનાં પ્રયત્નો જોઉં છું. ત્યારે મને સમજાય છે કે નાથાભાઈએ જે ના પાડી હતી તે યોગ્ય જ હતું. એમણે આ બધું જ જોયું હતું જે અમે નહોતા સમજી શકતાં. કારણ કે આધ્યાત્મિકતા એ અંગત- વ્યક્તિગત બાબત છે. એમાં બીજી કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકતી નથી. પતિ-પત્ની, મા-દીકરો, માતા- પિતા એ દરેક અધ્યાત્મમાં વ્યક્તિ બનીને રહી જાય છે. જેમ મૃત્યુ પછી આપણે કોઈને પણ સાથે લઈ જઈ શકતા નથી. એમ અધ્યાત્મમાં પણ આપણે કોઈને પણ સાથે લઈ જઈ શકતા નથી. એ પંથ દરેક વ્યક્તિએ જાતે જ ખેડવાનો હોય છે. એની ફળશ્રુતિ રૂપે મળતો આનંદ કે પીડા જાતે જ અનુભવવાની હોય છે. આ મારી સમજ છે. એને મારે બીજાની સામે સાબિત નથી કરવાની. એના વિશે દલીલો કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
મારી નાની સમજ થી મને જે સમજાયું છે. એ પ્રમાણે કહું તો હું માનું છું કે અધ્યાત્મ જીવન જીવતાં શીખવાડે છે. એમાં માનવીય ગુણો હોય છે. જાણી જોઈને કે અજાણતાં ય એ કોઈને તકલીફ ન પહોંચે તેની કાળજી રાખે. શક્ય હોય તો બીજાને એ મદદરૂપ થાય છે. પણ સૌથી પહેલાં તો એ પોતાની જાતની મદદ કરે છે. બીજા પર ભારરૂપ ન બને તેની તકેદારી રાખે છે. કેટલીય સામાન્ય વ્યક્તિઓ એટલી સરળતાથી જીવન જીવતી હોય છે કે એ આધ્યાત્મિક નથી એ કહેવાનું મન ન થાય. કેટલીક વાર તો ધાર્મિક વ્યક્તિઓ કરતા આવી સાદી વ્યક્તિઓ બહુ સરળ અને સહજ જીવન જીવતી હોય છે. ત્યારે મને એમ થાય છે કે તે ભગવાનની બહુ નજીક હોય છે. મને એને પૂછવાનું મન નથી થતું કે તમે ભગવાનમાં માનો છો? પૂજાપાઠ કરો છો? એ શું ખાય છે કે પીવે છે એ જાણવાનો પણ કોઈ અર્થ નથી રહેતો. કયા ભગવાનમાં માનો છો? કે કયો ધર્મ છે? એ જાણવાની ય જરૂર નથી રહેતી.
આપણે ધર્મ અને આધ્યાત્મિકતાને એક માનીએ છીએ. ધર્મ ને આપણે એક રિચ્યુઅલ બનાવી દીધો છે. જેનો ઉપયોગ મોટેભાગે કોઈપણ પ્રકારની સત્તા મેળવવા માટે કરવામાં આવે છે.માણસો પોતાની સમજ પ્રમાણે એના અર્થો કાઢીને પોતાની મહત્વકાંક્ષાઓને પોષવા માટે ધર્મનો ઉપયોગ કરતા હોય છે. અને આપણે એને ધર્મ સમજી લેતા હોઈએ છીએ. કે અધ્યાત્મ સમજી બેસતા હોઈએ છીએ. ભગવાન સમજી બેસતા હોઈએ છીએ. જો કોઈ પણ ધર્મ માનવીય અભિગમ નથી અપનાવતો તો મને લાગે છે કે હું એ ધર્મને સ્વીકારી શકતી નથી. એ ઈશ્વરને પણ સ્વીકારી શકતી નથી. જેમ જ્યારે કહું છું કે હું નારીવાદી છું, ત્યારે ફક્ત સ્ત્રી તરફના અન્યાયો જ જોઉં છું એવું નથી. પણ પુરુષો પર થતા અત્યાચાર પણ જોઈ શકું છું. એમની પીડા પણ સમજી શકું છું. કોઈ તરફ થતાં અન્યાય માત્ર નો જ મારો વિરોધ હોય છે. એટલે મારી સમજ પ્રમાણે હું જ્યારે ભગવાનને માનું છું ત્યારે મારા ભગવાન સ્વાર્થી નથી હોતા. સત્તા માટેના લાલચી નથી હોતા કે ના તો એને બહુ મોટો ભક્ત સમુદાયિક જોઈએ છે. એનામાં કરુણા હોય છે અને નિસ્વાર્થ પ્રેમ હોય છે, કે જે માનવીય ગુણોને પોષે છે. આધ્યાત્મિકતા તમને નમ્ર બનાવે છે. અહંકાર રહિત બનાવે છે. અધ્યાત્મને ટોળાંની જરૂર નથી. કે એ માટે ટોળામાં ભળવાની જરૂર નથી. સાચો ગુરુ કે ભગવાન તમને એકાંતમાં અધ્યાત્મની સાધના કરવાનું કહે છે.
- 21:57
- 0 Comments
