જીવનમાં શું જોઇએ છે એ માટે સ્પષ્ટ રહો 1-3-14 mumbai samachar

સુખ ડોટ કોમ                                              




એકવાર સુફી સંત રાબિયાએ રમઝાનમાં સાત દિવસના ઉપવાસ કર્યા. આઠમા દિવસે પડોશી તેમને ભોજન આપવા આવ્યા. રાબિયા તે સમયે પાણી ભરવા જઈ રહ્યા હતા. એટલે તેમણે પડોશીને કહ્યું કે ભોજન મૂકી દો અહીં હું પાણી ભરી આવીને જમી લઈશ.
રાબિયા પાણી ભરીને પાછા ફર્યા ને જોયું તો તેમનું ભોજન બિલાડી ખાઈ ગઈ હતી. તેમને થયું  હશે.... પાણી પીને પેટ ભરી લેવાનું વિચાર્યું. સાત દિવસના ઉપવાસને કારણે તેમનામાં ખૂબ અશક્તિ આવી ગઈ હતી. એટલે પાણી પણ માંડ ગ્લાસ જેટલું ભરી આવી શક્યા હતા. ઘડામાંથી ગ્લાસમાં પાણી લીધું અને મોં સુધી લઇ જાય તે પહેલાં તો હાથમાંથી ગ્લાસ છટક્યોને તુટી ગયો. હતાશ થઈને રાબિયાથી બોલાઈ ગયું, તારી શી ઇચ્છા છે પ્રભુ ?! તેમને અવાજ સંભળાયો કે, રાબિયા તમારે શું જોઇએ છે દુનિયાના સુખ સગવડ જોઇતા હશે તો અમે તને બધું જ આપી શકીએ તેમ છીએ. પણ જો તું અમારો પ્રેમ અને ભક્તિ ઇચ્છતી હશે તો એ ય મળશે. પણ દુન્યવી વસ્તુ અને ભગવાન બન્ને સાથે ન મળી શકે. રાબિયાએ હાથ ઊઠાવી કહ્યું કે , “મને તો તમારા પ્રેમની અભિપ્સા અને ઝંખના સિવાય કશું જ ન ખપે.
સુફી સંત રાબિયાનું જીવન ઇશ્વરમય જ હોવા છતાં તેમના જીવનમાં એવો પ્રસંગ બન્યો કે તેમને પણ પસંદગીની અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડ્યું. જીવનમાં આપણો ગોલ શું છે તે દરેકે નક્કી કરવું જ પડે છે. તમે જે ઇચ્છો તે જ તમને મળે છે. પછી તે સુખ હોય કે દુખ. જીવનમાં આપણને  શું જોઇએ છે તેની સ્પષ્ટતા રાખવી જરૂરી છે. નહીં તો આખું જીવન ન કરવાના કામો કરવામાં જ વેડફાઈ જઈ શકે છે.



Comments