કોઠીનો આઈસ્ક્રીમ ખાવા બહોરી મહોલ્લામાં જવું જ પડે

05:30






મુંબઈમાં સૌ પ્રથમ આઈસ્ક્રીમ ૧૩૦ વરસ પહેલાં કચ્છ, માંડવીના વલીભાઈએ બનાવ્યો હતો.




આહ તાજ !વાહ નહીં આહ આજ શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા જ્યારે તાજ આઇસ્ક્રીમની દુકાન દસેક વરસ પહેલાં ચૈત્રની એક ભર બપોરે નળ બજારની ગલીઓમાં શોધી રહી હતી. ઉનાળાની ભરબપ્પોરે આઇસ્ક્રીમ શોધવા પરાંમાંથી  છેક ત્યાં જવું પડે ? એવું ચોક્કસ કોઇપણ મને પુછી શકે, પરંતુ,આઇસ્ક્રીમના શોખીન હો અને મુંબઈનો શ્રેષ્ઠ આઇસ્ક્રીમ ખાવો હોય તો નળબજારના બોરી મહોલ્લામાં જવું પડે. દસ વરસ બાદ ફરીથી નળબજારની બોરી મહોલ્લામાં ગઈ તો આખો બોરી મહોલ્લો ગાયબ. સાંકડી ભીડભાડવાળી ગલ્લીને ઠેકાણે  ઠેર ઠેર મકાનોના ભંગાર અને કેટલીક આકાશને આંબતી બહુ મજલા ઈમારતો ચણાઈ ગઈ હતી તો કેટલી ચણાઈ રહી હતી તો કેટલીક હવે ચણાશે. જોઈને યાદ આવ્યું કે આખાય બોરી મહોલ્લાનું રિડેવ્હલપમેન્ટ થઈ રહ્યું છે. એમાં ટેમ્પરરી ગાળા બાંધીને કેટલીક દુકાનોને સ્થળાંતરીત કરવામાં આવી છે. બોરી મહોલ્લામાં તાજ આઈસ્ક્રીમ ની દુકાનને પણ ટેમ્પરરી શેલ્ટર આપવામાં આવ્યું છે. ૧૩૦ વરસનો ઈતિહાસ ધરાવતી દુકાન આજે ધરાશયી થઈ ગઈ હતી અને સામે અપ ટુ ડેટ એસી નાનકડી કેબિન પર તાજ આઈસ્ક્રીમ નું બોર્ડ જોઈ શકાતું હતું.   
 અમેરિકન સેલિબ્રિટી શેફ સ્વ, એન્થની બોર્ડન જેનો ટ્રાવેલર શો ડિસ્કવરી ચેનલ પર લોકપ્રિય હતો તે  અને ભારતના મોસ્ટ પાવરફુલ મહિલા સોનિયા ગાંધીએ પણ તાજ આઇસ્ક્રીમને વખાણ્યો છે. પણ તાજ આઇસ્ક્રિમ સુધી પહોંચવું સહેલું નથી. મહમદઅલી રોડ અને નળબજારનો ટ્રાફિક પાર કરવો સાહસનું કામ છે. દસ વરસ પહેલાં તો  ગુગલિંગ કર્યા બાદ પણ અમે તાજ આઇસ્ક્રીમની દુકાન આગળથી પસાર થયા ત્યારે તેને જોઇ શક્યા નહોતા. અર્થાત, ત્યારે સાવ સામાન્ય દેખાવની અને સાદું ઊડતું પ્લાસ્ટિકના બોર્ડ પર તાજ આઇસ્ક્રિમ લખ્યું હતુ. એસી નહીં, લાકડાના ચારેક જુના ટેબલ અને બાંકડા જેવી સીટો, અને દિવાલ પર આઠેક આઇસ્ક્રીમના નામ  લખ્યા હતાપરસેવો લુછતાં કાઉન્ટર પર બેઠેલા અબ્બાસ ભાઈએ શુધ્ધ ગુજરાતીમાં સ્વાગત કર્યું હતું.   દુકાન જોઇને મનમાં શંકા થઈ કે અહીં હજી મુંબઈનો શ્રેષ્ઠ આઇસ્ક્રીમ મળતો હશે ?  આજે પણ તમે નળબજારમાંથી પસાર થાઓ તો વિચાર કરો ખરા કે  ફ્રેશ ફ્રુટ આઇસ્ક્રિમ માટે વખણાતા આઉટલેટ સુધી લાંબા થવું યોગ્ય છે ખરું? પણ જો તમે ટ્રાવેલ શો જોતા હો મારી જેમ તો ચોક્કસ તળ મુંબઈમાં ભીંડી બજાર પસાર કરી નળ બજાર પહોંચશો અને આસપાસની બદલાતી દુનિયામાં જૂના ને જાણીતો તાજા ફ્રુટ અને દૂધમાંથી બનતો આઈસક્રિમ ખાવા મળશે. દસ વરસ પહેલાં કાચના આઈસ્ક્રીમ ના ગ્લાસને બદલે હવે કાગળના કપમાં તમને આઈસ્ક્રીમ પીરસાશે. દુકાન પર હાતીમભાઈ કે પછી તેમનો દીકરો આમિર હશે. તાજ બ્રાન્ડનો બ્લેક એન્ડ વ્હાઈટ લોગો ધરાવતાં મગમાં મૂકેલા ટિસ્યુ અને બ્લેક રંગનો કાગળના કપમાંથી મિક્સ ફ્રુટ, સ્ટ્રોબેરી, મેંગો, સિતાફળનો આઈસ્ક્રીમ ખાતાં કાચના બારણામાંથી દેખાતા સામે પડેલા મકાનના રબલમાં દટાયેલા ઈતિહાસને શોધી રહ્યા. 
૧૮૮૭ની સાલમાં અહીં સામે એક નાનકડી દુકાનમાં વલીજીએ પહેલીવાર આઈસ્ક્રીમ કેવી રીતે બનાવ્યો હશે તે કલ્પનાનો વિષય છે.   આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ બરફ જોઈએ અને સંચો(પોટ) તેમની પાસે સો વરસ જુનો લાકડાનો સંચો હજુ પણ જળવાયેલો છે. ઈતિહાસને ખાંખાખોળા કરતા જાણવા મળ્યું કે   મુંબઈમાં સૌ પ્રથમ બરફ લગભગ ૧૮૪૦ની સાલમાં આવ્યો. ૧૮૪૩માં એપોલો રોડ (જે આજે શહીદ ભગતસિંહ રોડ તરીકે ઓળખાય છે) પર બરફ રાખવા માટે ખાસ મકાન બનાવવામાં આવ્યું. તેને બોમ્બે આઈસ હાઉસ તરીકે ઓળખાતું. બરાબર તેની સામે ગર્વમેન્ટ ડોકયાર્ડ  અને સ્કોટિશ ચર્ચ હતું. મકાન પછી ગર્વનર હાઉસ બન્યું હતું અને ત્યારબાદ ગ્રેટ વેસ્ટર્ન હોટલ હતી. પછી તો હોટલ પણ બંધ થઈ ગઈ અને અનેક ઓફિસ મકાનમાં શરૂ થઈ હતી. પાછા આઈસ્ક્રીમ પર આવીએ તો હાથ વડે સંચાને ફેરવીને આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત થઈ હતી લગભગ અરસામાં.  સંચાનો આવિષ્કાર ૧૮૪૩માં નેન્સી જોન્સને કર્યો હતો. જો કે ત્યારબાદ તેમાં અનેક ફેરફાર થયા હશે. સંચા પહેલાં લોકો ઘરે પણ વસાવતા. લાકડાનો મોટું પીપ જેવું વાસણ તેમાં બરફ અને આખું મીઠું નાખવામાં આવે. તેની વચ્ચે પિત્તળનો સંચો મૂકાય જેમાં ઉકાળેલું દૂધ, સાકર નાખીને સતત ચર્ન કરવામાં આવે ત્યારે કલાકો પછી દૂધ ઠંડુ થતાં ધીમે ધીમે ગાઢું થતું જાય. સ્વાદ માટે તેમાં ફ્લેવર તરીકે સૂકો મેવો, એલચી કે ફળને ઉમેરવામાં આવે. સંચાના આઈસ્ક્રીમ માં અન્ય બ્રાન્ડના આઈસ્ક્રીમ ની જેમ હવા હોય. દૂધને ઉકાળ્યું હોય એટલે ક્રિમી ટેક્સ્ચર હોય. વળી તેમાં પાણીનો પાશ પણ હોય કારણ કે મલાઈદાર દૂધને ખૂબ ઉકાળવામાં આવ્યું હોય. રીતે ફક્ત તાજા, ઋતુ પ્રમાણેના ફળ નાખીને આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત મુંબઈમાં સૌ પ્રથમ વલીજી જલાલજીએ કરી. ત્યારબાદ તેમના દીકરા કરીમજી અને તૈયબજીએ પરંપરાને આગળ વધારી. તૈયબજીના દીકરા સરાફઅલીના દીકરાઓ અબ્બાસ, હાતિમ અને યુસુફે અત્યાર સુધી પરંપરા જેમની તેમ જાળવી રાખી. અબ્બાસભાઈના મૃત્યુ પછી તેમના દીકરા મુસ્તફાએ તાજ આઈસ્ક્રીમ ની બ્રાન્ડથી જુદા થઈને તાજથી ત્રણેક દુકાન દૂર આઈસ્ક્રીમ વાલા નામે પરંપરાને ચાલુ રાખી. એટલે વલીજી અને તૈયબજીની પરંપરાનો સંચાનો ફ્રુટ આઈસ્ક્રીમ ખાવો હોય તો તાજ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ વાલા એમ બન્ને દુકાનો પર મળે છે. તાજ આઈસ્ક્રીમ હાતિમભાઈ અને તેનો દીકરો આમિર સંભાળે છે. 
આઈસ્ક્રીમ ના સ્વાદની વાત કરીએ તો સીતાફળનો આઈસ્ક્રીમ ખાતા વિચારવું પડે કે સીતાફળ કરતાં વધુ સ્વાદિષ્ટતો નથી લાગતો ને? પેરુનો સ્વાદ તો ચોક્ક્સ પેરુના ફળ કરતાં સારો છે. તાજ હોય કે આઈસ્ક્રીમ વાલા હોય બન્નેનો સ્વાદ અદભૂત છે. આઈસ્ક્રીમ વાલામાં મુસ્તફા પેરુ આઈસ્ક્રીમ પર મીઠું-મરચુંનો મસાલો ભભરાવીને આપે અને મોઢામાં મૂકતાં આહ નીકળે તો નવાઈ. પેરુના આઈસ્ક્રીમ માં વચ્ચે બીયાં પણ આવે. સિવાય સ્ટ્રોબેરી, મેંગો અને લિચી પણ મળે છે. દરેક ફ્રુટનો સ્વાદ આઈસ્ક્રીમ બનતાં બેવડાય જતો લાગે. 

 મેન્ગો આઇસ્ક્રીમ ધ્વારા અમે  આફુસ કેરી ખાધી હોય તેવી અનુભૂતિ થઈ. વાહ તાજ , શબ્દ મનમાં ગણગણતા આઇસ્ક્રિમના કપ  ખાલી થાય ત્યારે લાગે કે બહોરી મહોલ્લા સુધી આવવું સાર્થક છે. ૧૩૦  વરસ જુની રેસિપી જેમાં કશું છુપાવવાનું નથી તેની વાત કરતાં ચોથી પેઢીના અબ્બાસભાઈના દીકરા મુસ્તફા અને હાતિમભાઈના દીકરા આમિર   જણાવે છે કે અમારી જાણ મુજબ વલીજીએ શરૂઆત કરી હતી પણ મારા પરદાદા તૈયબઅલીએ દુકાન શરુ કરી હતી.ત્યારથી મલાઈવાળા ફુલક્રિમ દૂધને ભરપુર ઊકાળીને ગાઢું બનાવ્યા બાદ તેમાં વાશી કે કાર્ફડ માર્કેટમાંથી લાવેલા તાજા સારામાંના ફળનો પલ્પ અને સાકર  નાખવા સિવાય બીજું કશું ઊમેરાતું નથી. પછી સો વરસ જુની લાકડાની કોઠી જેમાં બરફ ,મીઠું નાખીને ભરાય અને તેમાં પિત્તળનો લાંબો નળાકાર ડબ્બો જેમાં ઉપર હેન્ડલ લગાવાય તેમાં મિલ્કશેક ઊમેરાય અને કલાકો ચર્ન કર્યા બાદ ક્રિમી અદભૂત સ્વાદ ધરાવતો આઇસ્ક્રીમ તૈયાર થાય. દરરોજનો દરેક ફ્લેવરનો ફક્ત વીસેક કિલો કે ઓર્ડર મુજબ   આઇસ્ક્રીમ બનાવાય. સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ પણ આટલો સારો ક્યાંય નથી ખાધો. અને જો તમને ફળ નહીં પણ ચોકલેટ વીથ બદામ ખાવો હોય તોય યમ્મી.....કહેવા સિવાય અમારી પાસે કોઈ શબ્દો નથી. હવે બીજી ફ્લેવર તેઓ ઉમેરવા લાગ્યા છે પણ ફ્રુટ આઈસ્ક્રીમ બનાવવાનું ક્યારેય નહીં છોડે. હાતિમભાઈને યાદ છે કે તેઓ મધુબાલાના જન્મદિને તેના ઘરે આઈસ્ક્રીમ નો ઓર્ડર આપવા ગયા હતા. ફારુખ અબ્દુલા જ્યારે મુંબઈ આવે ત્યારે તાજ આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ મંગાવીને ખાય. ૧૯૬૯માં ઈરાનના શાહે દિલ્હી દરબારની બિરયાની અને તાજની આઈસ્ક્રીમ પાર્ટી આપી હતી. તાજ નામ કેવી રીતે પડ્યું તેનો પણ ઈતિહાસ મુસ્તફા અને આમિર કહે  છે તે પ્રમાણે  ઉમેરઠથી તાજભાઈ જે કરીમજીના મિત્ર હતા તે  જમાનામાં એટલે કે સોએક વરસ પહેલાં લગભગ દર મહિને મુંબઈ આઈસ્ક્રીમ ખાવા આવતા. તેમના નામ પરથી દુકાનનું નામ તાજ આઈસ્ક્રીમ રાખ્યું.   
અત્યાર સુધી દુકાનની કોઈ બ્રાન્ચ નહોતી એટલે બહોરી મહોલ્લા સુધી લાંબુ થવું પડતું પણ હવે બાંદરા ઈસ્ટ અને વેસ્ટમાં તાજ આઈસ્ક્રીમ મળે છે. જ્યારે થાણામાં આઈસ્ક્રીમવાલાની બ્રાન્ચ છે.   એમની આઈસ્ક્રીમ ના સ્વાદના દિવાનાઓ ભારત છોડી પરદેશ સેટલ થયા હોય તો જ્યારે પણ ભારત આવે ત્યારે સાથે તાજ આઈસ્ક્રીમ પેક કરીને લઈ જાય.  અહીંથી બેંગ્લોર, દુબઈ, લંડન પણ આઇસ્ક્રિમ પેક થઈને જાય છે. નવાઈ લાગેને પણ શુધ્ધ દૂધનો સંચાનો આઇસ્ક્રીમ ખાશો તો કોઇ વાતની નવાઈ નહીં લાગે. હવે તમે પુછશો બહોરી મહોલ્લો શોધવો કઈ રીતે તો બે લેન્ડમાર્ક યાદ રાખો જે.જે. હોસ્પિટલ અને ચોરબજારની નજીક,  સારી વસ્તુ સહેલાઇથી નથી મળતી યાદ રાખો. તેમના આઈસ્ક્રીમ ની કિંમત પ૦૦ થી ૬૦૦ રૂપિયા કિલો છે. 


You Might Also Like

0 comments