યાદે
01:14વતનની વાત આવે એટલે આપણે સૌ ઈમોશનલ થઈ જઈએ છીએ. બાળપણની સાથે છૂટી ગયેલા સ્થળો અને વ્યક્તિઓ તમને નોસ્ટાલજીયાનો અનુભવ કરાવે છે. સ્મૃતિઓમાં રમમાણ રહેવું આપણને ગમતું હોય છે. હાલ કંઈક એવો જ તબક્કો ચાલી રહ્યો છે. ઈતિહાસને ફંફોસતા ક્યાંક સચવાયેલી મારી સ્મૃતિઓ પણ મને સૂતીને જગાડી રહી છે. પત્રકાર તરીકે પોતાના વિશે લખવાનું હંમેશા ટાળ્યું છે. રચનાત્મક હું લખી જ ન શકું એવું ય લાગતું કદાચ. વળી ભાવુક હોવા છતાં ભાવુકતામાં સરી પડવું ગમ્યું નથી. નડિયાદ ગઈ ત્યારે ઉંદરાની, થામણાની અને મમ્મીની કેટકેટલી સ્મૃતિઓએ મને ઘેરી લીધી. તે સમયે મને ખ્યાલ નહોતો આવ્યો કારણ કામ માટે નડિયાદ ગઈ હતી ચિંતન શેઠ સાથે. અમદાવાદથી મુંબઈ પરત ફરતાં કાચની બારી બહાર પસાર થતાં નડિયાદને જોઈ લાગ્યું કે કશુંક ખટકી રહ્યું છે. કશુંક છે જે મને સાદ દઈ રહ્યું છે અને હું તેના તરફ જોતી નથી.
જ્યારે એસી ટ્રેન નહોતી અને એસી ડબ્બામાં પ્રવાસ કરવો પરવડતો નહોતો ત્યારે આંખ બંધ હોય તો પણ હું હવાને સુંઘીને ખેડા જીલ્લામાં પ્રવેશી છું એ જાણી શકતી. મુંબઈ હદની બહાર ટ્રેન નીકળે એટલે હવા બદલાઈ જતી. હવામાં માટી, વૃક્ષ સાથે કેટકેટલીય સુગંધો હોય. વડોદરા વટાવ્યા બાદ હવામાં તમાકુની સુગંધ અનુભવાતી. ખેડા જીલ્લામાં તમાકુનો પાક લેવાય. હવે એ સુગંધ માટે બારણા પાસે ઊભા રહેવું પડે. પરંતુ, સુપરફાસ્ટ ટ્રેનમાં એ પણ ન થઈ શકે. હવાની એ સુગંધ પણ ખોયાનો અહેસાસ થયો. આમ તો હું કહેતી હોઉં છું કે પરિવર્તન સંસારનો નિયમ છે. એને સ્વીકારે જ છૂટકો. છૂટી ગયાના રોદણાં રડવા કરતાં આજે જે સરળતા છે એને જોવાની ભલામણ કરું. પણ સુપરફાસ્ટ સમયની સાથે દોડતા નિરાંતના પ્રવાસનો અહેસાસ ગુમાવ્યો એ દેખાય છે. કલાકો સુધી બસની રાહ જોતાં નિરાંતે ઉભડક બેઠેલા ખેડૂતોને ટેસથી બીડી પીતાં જોવાની મજા કંઈક ઓર હતી. ધૂળ તડકા અને પરિશ્રમની કરચલીઓમાં નિરાંત ડોકાતી હોય. કશે જ પહોંચવાની કોઈ જ ઉતાવળ ન હોય. કોઈ ફરિયાદ ન હોય. બસ કેન્સલ થાય તો સહજતાથી ધૂળિયા રસ્તે ચાલી નીકળવાની તૈયારી પણ હોય. એસી સુપરફાસ્ટ ટ્રેનની કમ્ફર્ટેબલ ખુરશીમાં બેસીને એ નિરાંતની અમીરીને મીસ કરું છું. એ માટે હવે લોકો ફરવા જાય છે અને રિસોર્ટમાં રોકાય છે. હજુ આજેપણ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કેટલાક આદિવાસીઓમાં એ જોવા મળે છે. ખાલી થયેલા ગામડાના ચોતરાઓ પર બેઠેલા કે અંતરિયાળ નાના પ્લેટફોર્મ પર બેઠેલા કોઈક ખેડૂતના ચહેરા પર એ જોવા મળે છે. યોગ્ય સમયની રાહ જોવી એ ખેડૂતની તાસીર હોય છે. નિયમમાં જીવતા ગામવાસીઓના દરેક કામમાં નિરાંત હોય જ છે. એ નિરાંત શહેરની ભીડમાં ખોવાઈ જાય છે. એકલી અટુલી કોઈ તેને ઓળખે, બોલાવે તેની રાહ જોતી શહેરની બહાર ઊભી રહે છે.
0 comments