માતૃત્ત્વ રેડાયું વૃક્ષોમાં

22:37







 સાલુમારદાનો કન્નડમાં અર્થ થાય વૃક્ષોની હારમાળા,  સાલુમારદાએ બાળકોની જેમ હજારો વૃક્ષ ઉછેર્યા છે






ગયા અઠવાડિયે લગભગ દરેક અખબારના પ્રથમ પાને ૧૦૭ વરસના સાલુમારદાનો પદ્મશ્રી એવોર્ડ સ્વીકારતો ફોટો છપાયો હતો.  રાષ્ટ્રપતિ કોવિદને આર્શિવાદ આપતા   સાલુમારદા વિશે અનેકવાર લખાયું હોવા છતાં ફરી ફરી લખાવું જોઈએ. પર્યાવરણની વાતો કરતાં અમારા જેવા બુદ્ધિજીવીઓ કરતાં અભણ સાલુમારદા થિકમ્માએ પર્યાવરણને બાળકની જેમ ઉછેર્યું છે તે માટે પ્રણામ કરવા ઘટે એટલું નહીં તેમાંથી આપણે દરેકે પ્રેરણા લેવા જેવી છે. 
વલસાડથી ધરમપુર 30 કિલોમીટર છે. વલસાડ શહેરની હદ પુરી થાય અને હાઈવે વટાવ્યા બાદ શરુ થાય લાંબી લીસ્સી સડક જે સીધી ધરમપુર પહોંચાડે. સડકની બંન્ને બાજુએ ખેતરો અને આંબાની વાડીઓની હરિયાળી આંખ અને મનને તરબતર કરે. સડકની કોરે હારબંધ ઊભેલા તોંતિગ વૃક્ષોની કમાન તમારું સ્વાગત કરે અને સતત તમારી સાથે ચાલેચારેક વરસ પહેલાંની વાત છે. ચોમાસાની શરૂઆત પછી  ધરમપુર જતાં હાઈવે વટાવ્યો કે ... મોસમ  બદલાતાં ઘનઘોર ઘટાએ વૃક્ષોની લીલાશને પણ ઘેરી બનાવી દીધી હતી. લીલા રંગનો કેફ ચઢે તેવું વાતાવરણ રચાઈ ગયું હતું. પણ વૃક્ષોની ચેતના કંઈક બદલાયેલી લાગી એટલે તેના તરફ ધ્યાનથી જોવાઈ ગયું. સડકની કિનારેના દરેક વૃક્ષો પર લાલ રંગના ક્રોસનું નિશાન કરેલું નજરે ચઢ્યું. પહેલાં લાગ્યુ ખ્રિસ્તીઓએ કર્યુ હશે. પણ ધ્યાનથી જોતા તેમાં ચોકડી દેખાઈ અને મનમાં ધ્રાસકો પડ્યો... થોડો સમય પહેલાં સાંભળેલી વાત યાદ આવી... ધરમપુર રોડ પર ટ્રાફિક વધી રહ્યો છે એટલે રસ્તો પહોળો થવાનો. ચાર લાઈનનો... રસ્તાની આસપાસની જગ્યાના ભાવ વધી જશે અને ધરમપુરમાં પણ વિકાસ થશે. બધા વચ્ચે વૃક્ષો નડતા હતા એટલે દરેક વૃક્ષો પર ક્રોસ મુકાયું છે. ટુંક સમયમાં તેમને કાપી નખાશે. રસ્તો વિકસશે પણ રળિયામણો નહીં રહે અને ખરેખર છેલ્લા વરસોમાં અનેક વૃક્ષો કપાઈ ગયારસ્તા પર અનેક મકાનોનું ચણતર થવા માંડ્યું, કોન્ક્રિન્ટ વિકાસ નજરે ચઢી રહ્યો છે.  હું અફસોસ કરવા સિવાય કંઇ કરી શકી. ગુજરાતના કેટલા હાઈવે, રસ્તા પર સુંદર વૃક્ષોની કમાન છે? અને જ્યાં હશે તે કેટલો સમય ટકશે તે સવાલ વિશે આપણે વિચારતા નથી. 
 મને યાદ આવી હતી અભણ થિકમ્મા અને તેનો પતિ  ચિક્કૈયાએ પોતાના ગામનો રસ્તો ત્રણસો જેટલા વૃક્ષો સંતાનોની જેમ ઉછેરી  હરિયાળો બનાવ્યો છે. તેમણે કામ પદ્મશ્રી મેળવવા માટે નહોતું કર્યું. 
આજે પણ ગામડાઓમાં જે સ્ત્રીને  બાળકો થાય તેને માટે સમાજના લોકો જીવન અઘરું બનાવી દેતા હોય છે. આઈવીએફની વધતા સેન્ટરો અને જાહેરાતો તેના સાક્ષી છે. ત્યાં નિસંતાન  સાલુમરદા થિમક્કા અને ચિક્કાઈએ અફસોસ કર્યા સિવાય શરૂઆતમાં ત્રણસો જેટલા વૃક્ષોને એકલે હાથે કોઇની પણ એટલે કે સરકારની મદદ વિના સંતાનોની જેમ ઉછેર્યા હતા. કર્ણાટકના અંતરિયાળ ગામ હુલિકલમાં રહેતા સાલુમારદા થિમક્કાના લગ્ન આજથી પંચ્યાસી વરસ કે તેનાથી પણ  પહેલાં બાળપણમાં  ચિક્કૈયા સાથે થઈ ગયા હતા. એટલે શાળાનું શિક્ષણ તો મળ્યું   નહતું. મજુરી કરીને પેટ ભરતા સાલુમારદા અને ચિક્કૈયાને બાળકો થયા. ત્યારે લોકોએ ચિક્કૈયાને બીજા લગ્ન કરી લેવા દબાણ પણ કર્યું.પરંતુ ચિક્કૈયાએ બીજા લગ્ન  ના કર્યા. બાળકો માટે તરસતા દંપતીને શી ખબર કેમ પણ  સાઈઠ વરસ પહેલાં કંઇક અનોખું કરવાનો વિચાર આવ્યો.
 તેમના ગામ હુલિકલ અને  બાજુના ગામ કુદુર વચ્ચે  ચારેક કિલોમીટરનું અંતર. બન્ને ગામના લોકો અવારનવાર એકબીજાના ગામ આવતા જતા હોય. બે ગામને જોડતો રસ્તો એકદમ સુક્કોભઠ્ઠ છાંય વિનાનો. સાલુમારદા અને તેના પતિએ નક્કી કર્યું કે આપણે રસ્તાની બાજુમાં બન્ને તરફ વૃક્ષો વાવીને ઊછીરીએ. સાલુમુરદાનો કન્નડમાં અર્થ થાય વૃક્ષોની હારમાળા.  બન્નેએ વડના છોડને ઊછેરવા માંડ્યા. પછી રસ્તાની ધારે જઇને છોડ લગાવ્યા. શરુઆતમાં પંદર વીસ છોડથી કરી. હવે છોડ વાવવા માત્રથી તો ચાલે નહીં. તેના મૂળ લાગે નહીં ત્યાં સુધી તેને રોજ પાણી પાવાનું. પછી એકાંતરે અને પછી અઠવાડિયે એમ કરતાં ઝાડ મોટું થાય એટલે કામ પુરું થાય. વળી છોડને ઢોરઢાંખર ખાઈ જાય તે પણ જોવાનું. દરરોજ બન્ને જણા બે બે ઘડામાં પાણી લઈને છોડને પાણી પાવા જાય. પંદર, વીસ કે ક્યારેક તેથી વધારે ધક્કા થાય.
જેમ જેમ વિસ્તાર વધતો ગયો તેમ તેમ ચિક્કૈયાએ મજૂરી મૂકીને કામ કરવાનું શરુ કર્યું. બન્ને એક ઝુપડાંમાં રહેતા હતા. પાસે મિલકત કંઇ હતી નહી. પણ વૃક્ષને બાળક માનીને ઊછેરવાનું કામ શરુ કર્યું હતું. પૈસાની કે કામની કદર થાય, પ્રસિધ્ધિ માટેની કોઇ અપેક્ષા વગર સમાજને ઉપયોગી કાર્ય શરુ કર્યુ હતું. થિક્કમ્મા કહે છે કે બન્ને ગામના લોકોને આવતા જતા રસ્તે શીળો છાયો મળે તે ઇચ્છા હતી. અમારા મર્યા બાદ અમારા બાળકો ધ્વારા લોકો અમને યાદ કરશે તેવી અપેક્ષા નહોતી. બસ અમને આનંદ આવતો હતો સમાજ માટે કંઇક કરવાનો. બાળકોને ઊછેરવામાં તકલીફો તો થાય ને ... એમ વિચારી અમે કામ કર્યું. થિક્કમ્માનો પતિ ચિક્કૈયા વીસેક વરસો પહેલાં ગુજરી ગયો. ત્યારબાદ તેમના કામની કદર લોકોને થઈ. 1995માં રાષ્ટ્રિય નાગરિક એવોર્ડ થિક્કમ્માને ચાર કિલોમિટરનો રસ્તે 300થી વધુ વૃક્ષ ઊગાડીને હરિયાળો બનાવવા માટે મળ્યો. પછી તો ઇંદિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ 1997માં મળતા થિક્કમ્માને લોકો એકલે હાથે જંગલ ઊભું કરવા માટે માન આપવા લાગ્યા. અમેરિકામાં એક પર્યાવરણ સંસ્થાએ થિક્કમાનું નામ સેન્ટર માટે અપનાવ્યું છે. થિક્કમાસ રિસોર્સિસ ફોર એન્વાર્યમેન્ટલ એજ્યુકેશન. આજે તો ચાર કિલોમીટરનો રસ્તો વૃક્ષોની ઘટાને લીધે સુંદર, શાંત અને રાહદારીઓ માટે સ્વર્ગ સમાન છે.અને તેની દેખરેખ સરકાર હસ્તક છે.  
થિક્કમ્માને આજે બાળકો પેદા કરી શક્યાનો જરાય અફસોસ નથી. વૃક્ષો પર લાગેલાં ફળને પક્ષીઓને ખાતા જોઇ, ઊનાળાની બળબળતી બપોરે લોકોને રસ્તે વૃક્ષની છાયાની શીતળતા અનુભવતા જોઇને જીવનમાં ધન્યતા અનુભવાય છે. વૃક્ષોને જોઇને પતિ ચિક્કૈયાની યાદને સહારે તે પ્રસન્નતાથી બાકીની જીંદગી જીવી રહી છે. બેંગ્લોરથી મેગ્લોરના રસ્તે ક્યારેક જવાનું બને તો  મગદી તાલુકાના ગામના રસ્તે જરુર જજો. પૈસા વિના કોઇપણ જાતના લાભની આશા વિના સમાજને ઉપયોગી કઇ રીતે થઈ શકાય તે અભણ દંપતીએ વાવેલા વૃક્ષોની પાસેથી જાણી શકાશે. બન્નેએ એકલે હાથે આખો રસ્તો હરિયાળો કર્યો છે. 45 વરસની  તેમની મહેનતનું ફળ પશુ પક્ષી અને માનવીને સતત મળી રહ્યું છે. વિકાસના નામે આજે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા હોય ત્યારે વૃક્ષ વાવીને  જંગલ ઊછેરવાનું કામ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે એવું થિક્કમ્મા અને ચિક્કૈયાએ સાબિત કરી બતાવ્યું. થિક્કમાને જીવનમાં પહેલીવાર પાક્કું ઘર મળ્યું . રાજ્ય સરકારે ચારેક વરસ પહેલાં  પાક્કું ઘર આપ્યું પર્યાવરણની રક્ષા કરી રસ્તાને હરિયાળો બનાવવા માટે. થિકમ્મા આજે વૃક્ષોને માની જેમ વ્હાલ કરી આવે છે. માતો આખરે મા છે.

You Might Also Like

0 comments