બહાર નહીં અંદર શોધ કરો..5-12-12

21:41


શિક્ષણ વ્યવસ્થાને નામે આપણે રોજ બૂમો પાડીએ છીએ અને સાંભળીએ છીએ... પણ તેને માટે આપણે  શું કરીએ છીએ ? કશું જ નહીં. એ જ સિસ્ટમમાં આપણે તણાઈએ છીએ... જીવીએ છીએ..આપણામાં કોઇ પરિવર્તન આવતું નથી. પણ બંકર રોય નામની વ્યક્તિ કંઇક જુદી જ માટીમાંથી ઘડાઈ છે. તેમણે રાજસ્થાનમાં બેરફુટ કોલેજની સ્થાપના કરી જ્યાં ડિગ્રી ધારક શિક્ષકો નથી ભણાવતા. અને અહીં ભણનારને ડિગ્રીના કોઇ સર્ટિફિકેટ અપાતા નથી. તેઓ શિખેલું યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તે રીતે તેમને શિખવાડાય છે. આ કોલેજમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવું શિક્ષણ આપવામાં આવે છે.
બંકર રોય વિશે જાણીએ... તેમનું નામ છે સંજીત બંકર રોય. તેમનું  શરુઆતનું શિક્ષણ ત્યારની બહુ જાણીતી ધનાઢ્ય લોકો માટેની દુન સ્કુલમાં થયું. ત્યારબાદ દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. 1964ની સાલમાં તેઓ સ્ક્વોશ રમતમાં ચેમ્પિયન હતા અને તેઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતવતી રમ્યા હતા. શ્રીમંત અને વગદાર કુટુંબમાં તેઓ જન્મયા હતા અને તેમના માતાપિતા વિચારતા હતા કે તેઓ સરકારી ઊચ્ચ પદે કામ કરશે. પણ 1965ની સાલમાં તેમને વિચાર આવ્યો કે સરકારી પદવી મેળવવા પહેલાં ગામડાઓ કેવા હોય તે ફરીને જોવા માગતા હતા. એટલે સૌ પ્રથમ તેમણે ગામડાઓને નજીકથી જાણવા જોવા પ્રવાસે નીકળી પડ્યા.1965માં દુકાળ દરમિયાન બિહારના ગામડાઓમાં ફરીને જે દારુણ ગરીબી,ભૂખમરો અને કરુણતા  પ્રથમવાર જોયા. તેમણે ઘરે પાછા જઇને જાહેર કર્યું કે  ગામડામાં કામ કરીને સમાજને માટે કામ કરવું છે.  આ બાબત માતાપિતાને આ બાબત પસંદ ન આવી. પણ બંકર રોય પોતાની વાતમાં મક્કમ રહ્યા. રાજસ્થાનના તિલોનિયા ગામમાં તેમણે 1972માં ગરીબો માટે બેરફુટ કોલેજની સ્થાપના કરી. આ કોલેજ સ્થાનિક લોકોએ જ બાંધી. ગરીબો માટે જ હતી એટલે તેમને સહજતા લાગે એટલે કોલેજમાં કોઇ ટેબલ ખુરશી ન રાખ્યા. આ કોલેજનો મૂળ ઉદ્દેશ એ હતો કે ગામડામાં જે કારીગરો હોય તેમને પોતાના કામમાં આવડત અને પરર્ફેકશન આવે. ગાંધીજીનો આદર્શ ગામડાઓને સ્વાવલંબી બનાવવા તે વિચાર પર આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. શરુઆતમાં સોલાર પેનલ જે ત્યાંના ગામડાની અભણ મહિલાઓ ધ્વારા બનાવવામાં અને ઓપરેટ કરવામાં આવતું. વોટર પંપ અને સોલાર પેનલ બનાવી શકે અને રિપેર કરી શકે એ ટેકનોલોજી ગામડાના ગરીબને શીખવાડવામાં આવે છે. તેમના રોજિંદા જીવનને સરળ કરી શકે તેવી ટેકનોલોજી ગામડાના ગરીબ તથા અશિક્ષિતને શીખવાડવી તે આ કોલેજનો ઉદ્દેશ છે. બંકર રોયનું માનવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજતાથી અને સરળતાથી ટેકનોલોજી શીખી જાય છે. એટલે તેમણે જુદા જુદા વિસ્તારની સ્ત્રીઓને ખાસ કરીને જે દાદી બની ગઈ હોય તેમને શીખવાડતા તેઓ પછી પોતાના ગામના બીજા લોકોને ઉપયોગી થતાં. આમ, શિક્ષણને ફક્ત પુસ્તકયું બનવવા કરતાં ઉપયોગી તથા ગામડામાં પહોંચાડવાનું કામ બંકર રોયે શરુ કર્યું એમ કહી શકાય. આજે બેરફુટ કોલેજમાંથી અનેક લોકો વિદેશ પણ જઇ આવ્યા છે. બાળકો માટેની રાત્રી શાળા ચાલે છે કેમકે તેમને પોતાના કુટુંબ માટે દિવસે કામ કરવાનું હોય. આ બાળકો અહીં લોકશાહીના પાઠ ભણે છે. ત્યાં ચુંટણી થાય તેમાં છ વરસથી ચૌદ વરસના બાળકો વોટિંગ કરે અને સંસદ રચે, તેમાંથી વડાપ્રધાન પણ ચુંટાય. બેરફુટ કોલેજનું બાંધકામ પણ અભણ ગામડાના કારીગરોએ જ કર્યું છે. ત્યાંની મહિલાઓએ છતને પરંપરાગત રીતે લિકેજ પ્રુફ બનાવી. આમ, બંકર રોયે ગામડાની અનેક મહિલાઓને અને પુરુષોને એન્જિનયર, આર્કિટેક, શિક્ષક અને કારિગરો બનાવ્યા. તેમનું માનવું છે કે કોઇપણ બાબતના સમાધાન માટે બહાર નજર કરવા કરતાં પહેલાં આપણી ભીતર નજર કરવી જોઇએ. આસપાસના અનુભવી લોકોને જુઓ,સાંભળો સમાધાન તમને સહજતાથી જડશે. જમીન સાથે સંકળાયેલા લોકો પાસે પ્રેકટિલ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. જરુર છે વળી પાછા આપણા મૂળિયા તરફ જવાની. સ્વાવલંબી બનવાની. બંકર રોયને ગાંધીજીનું વાક્ય ગમે છે, પહેલાં લોકો તમને જોશે નહીં, પછી તેઓ તમારા પર હસશે, પછી તમારી સાથે ઝઘડશે. અને પછી તમે જીતી શકશો. બંકર રોય 2010માં વિશ્વની સો વગદાર યાદીમાં સ્થાન મળ્યું છે.જમનાલાલ બજાજ એવોર્ડ,સેન્ટ એન્ડ્રુઝ પ્રાઈઝ ફોર એન્વાર્યમેન્ટ અને સોલાર કોમ્યુનિટી તરફથી રોબર્ટ હીલ એવોર્ડ પણ મળ્યો છે. શિક્ષિણ મેળવ્યા બાદ શિક્ષણનો સાચો અર્થ સમજ્યા બાદ તેમણે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો અને જગત સમક્ષ ઉદાહરણ પુરું પાડ્યું છે.   

You Might Also Like

0 comments