સુખ ખરીદી શકાય છે ખરું ? (સાંજ સમાચાર) 12-9-17

01:04



– આજે સૌ કોઈ સુખની શોધમાં મંદિરોમાં, સાધુ-બાબાઓ પાસે અને મોટિવેશનલ ગુરુઓ પાછળ દોડે છે. વસ્તુ ખરીદાય છે પણ સુખ નહીં.

આજે જે પણ ગુનાઓ થાય છે તેમાં ઉપભોક્તાવાદની ખાસ્સી  અસરો છે. સતત નવાં ઉપકરણો, સુખ-સગવડોનાં સાધનોની માગ વધતી જાય છે. સંતોષનો ઓડકાર ભોજનમાં પણ નથી રહ્યો. સાદું ભોજન, સાદી રહેણીકરણી કે સાદું જીવન એ ઈતિહાસની વાતો બનીને રહી ગયાં છે. ઉપભોક્તાવાદ દેશનું અર્થતંત્ર સુધારી શકે પરંતુ, પર્યાવરણનું મોટું નુકસાન કરી શકે છે. માણસોમાં માણસાઈનું સ્થાન ઉપભોક્તાવાદને કારણે સ્વાર્થે લીધું છે ત્યારે આપણે વિચાર ફરી ફરીને કરવા જેવો છે કે ઉપભોક્તાવાદ સીમા ઓળંગીને જીવનની જીવંતતા નષ્ટ ન કરે. આનંદ અને સંતોષનો ભોગ ન લે.  

એક જમાનો હતો કે આપણે ત્યાં બોલાતું કે પૈસો જ બધું નથી.પૈસો સુખ નથી ખરીદી શકતો. એ ઉક્તિ હવે કોઈ સાંભળવા કે સમજવા માગતું નથી.  પણ હવે નાના બાળકોને પણ પૈસાથી જ સુખ ખરીદાય છે એવું લાગે છે. શોપિંગ મોલ જ નહીં ઓનલાઈન ખરીદીનો વધતો ક્રેઝ દર્શાવે છે કે ઉપભોક્તાવાદ તેનો પંજો કસી રહ્યો છે માનવીયતા પર. એવો પણ સમય હતો કે સિમ્પલ લિવિંગ હાઈ થિન્કિંગ કહેવામાં ગર્વ અનુભવાતો પરંતુ, આજે લેટેસ્ટ ફોન, લેપટોપ, ટેબ કે પછી લેટેસ્ટ ફેશનનો ટ્રેન્ડ અનુસરવાની જાણે હોડ લાગેલી હોય છે.
ખરીદી કરવા માટે તહેવારોની નહીં પરંતુ, સેલની રાહ જોવાતી હોય છે. તેમાંય સેલ હોય એટલે જરૂરત હોય કે હોય ખરીદી કરવાની માનસિકતા ઘડાઈ ગઈ છે. તેને ઉપભોક્તાવાદ કહેવામાં આવે છે. પહેલાં વરસમાં એકાદ વાર જ કપડાંની ખરીદી થતી. આજે દર સિઝને ફેશન બદલાય છે. ઘરમાં એક  જ લેન્ડલાઈન હતો આજે લેન્ડલાઈન ઉપરાંત ઘરની દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. પોતાનું લેપટોપ કે ટેબ હોય છે. દરેક રૂમમાં ટેલિવિઝન હોય છે. આજે આપણે ખરીદી જરૂરત માટે નહીં પરંતુ, આપણી જાતને ખુશ કરવા માટે કરીએ છીએ. ખરીદીની ખુશી લાંબું ટકતી નથી એટલે તરત જ બીજી ખરીદી કરવાની જરૂર પડે છે.
આજે લોકો વધારે કલાક કામ કરે છે વધુ પૈસા કમાવવા માટે એટલે વીક એન્ડ કે રાત્રે થોડો જ સમય મળે છે મનોરંજન માટે. સમયનો અભાવ આપણને વધારે પૈસા ખર્ચવા માટે પ્રેરે છે. એટલે મનોરંજનના કહો કે સુખ સગવડોના નવા સાધનો વધી રહ્યા છે.  આપણે ત્યાં પહેલાં સવારથી બપોર સુધી કામ કરતાં બપોરે જમવા ઘરે જઈને વામકુક્ષિ  કરીને વળી પાછા કામ પર જતાં. હજી આજે પણ કેટલાક નાનાં શહેરોમાં આ પ્રથા જોવા મળે છે. પણ ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશન સાથે શહેરીકરણ થયું.અને તેની સાથે વધ્યા ઉપકરણો અને ઉપભોગો. જે ઉપભોક્તાવાદના વિવાદ તરફ દોરી જાય છે. જરૂરિયાત વધતા રૂપિયા વધુ જોઈએ અને  રૂપિયા વધતા જરૂરિયાત વધે છે.
વોશિંગ્ટન ડીસીની એક રિસર્ચ સંસ્થાએ  ઉપભોક્તાવાદ પર સંશોધન કર્યું હતું તેના આંકડા આંચકા આપે એવા છે.  દુનિયામાં ૧.૭ અબજ લોકો કન્ઝ્યુમર ક્લાસમાં છે. આ કન્ઝયુમર ક્લાસ ગણવામાં જે બાબતોની ગણતરી કરવામાં આવી તે છે. હાઈલી પ્રોસેસ્ડ ફૂડ , મોટી ગાડીઓ, મોટાં  ઘરો, ખૂબ બધું દેવું, જેના વિના ચાલી શકે તેવી લકઝરી વસ્તુઓ, ઉપકરણોની આદતો.
આજે દુનિયાનો અડધો અડધ કન્ઝયુમર ક્લાસ ડેવલપિંગ દેશોમાં વસી રહ્યો છે. ચીનમાં ૨૪ કરોડ અને ભારતમાં ૧૨ કરોડનો આંકડો છે.(આ આંકડા બે વરસ પહેલાંના છે) જેમાં દિન દુગનો રાત ચોગુનો વધારો નોંધાઈ રહ્યો છે.
વર્લ્ડવોચ સંસ્થાના પ્રમુખ ક્રિસ્ટોફર ફ્લેવિનનું કહેવું છે કે, ‘વધતો ઉપભોક્તાવાદ મૂળભૂત જરૂરિયાત પૂરી કરવામાં અને રોજગારની તક પૂરી પાડવામાં મદદરૂપ બન્યો છે, પણ સાથે જ જેમ આપણે નવી સદીમાં પ્રવેશ કરી રહ્યા છીએ તેમ સતત વધતો ઉપભોક્તાવાદ કુદરતી પ્રક્રિયાઓને ખોરવી રહ્યો છે. જેને કારણે દુનિયાના ગરીબો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી ઓર કઠિન બની રહી છે.
સતત વધતો પ્લાસ્ટિકનો કચરો અને ઉપભોક્તાવાદ પર્યાવરણને ખોરવી રહ્યો છે. આજે ગ્લોબલ વાર્મિંગના કારણોમાં ઉપભોક્તાવાદ છે તો ક્યાંક  અતિવૃષ્ટિ કે દુકાળના ઓળામાં પણ ઉપભોક્તાવાદના પરિણામો છે તે દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ, તે વિશે ગંભીરતાથી અમલ કરાતો નથી. નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના  સાયકોલોજીસ્ટ ગેલેન, મોનિકા અને જેમ્સે કરેલા અભ્યાસ બાદ સાયકોલોજીકલ સાયન્સના એક પેપરમાં લખ્યું છે કે ઉપભોક્તાવાદની માનસિકતા નકારાત્મક પરિણામો પેદા કરે છે. ફક્ત ઉપભોગ માટે સતત ખરીદી કરવા છતાં માણસને આનંદ નથી મળતો કે સુખ નથી લાગતું. ઊલટાનું ઉપભોક્તાવાદ માણસને હતાશા, ચિંતિત અસ્વસ્થતા અને એકલતા તરફ ધકેલે છે.ઉપભોક્તાવાદ વ્યક્તિને સમાજિકપ્રાણી નથી રહેવા દેતો.
બાબાઓની સંપત્તિઓ વધે છે, સંતમહંતો પાસે  માણસો પહેલાં આત્મકલ્યાણ માટે જતા હતા. આજે વધુ સંપત્તિ અને સુખ વાંછવા જાય છે. કોઈ એમ નથી વિચારતું કે આ બાબાઓ અને બાપુઓ પહેલાંની જેમ ઘાસની ઝુપડીમાં સાદાઈથી નથી રહેતા પણ મોટા બંગલાઓ અને મહેલ કે રિસોર્ટ જેવા આશ્રમો બનાવીને રહે છે. આવા કુશાંદે આશ્રમોની જરૂર પડે છે કારણ કે તેમની પાસે આવનાર વ્યક્તિઓ પણ શ્રીમંત હોય છે. પૈસા હોવા છતાં તેમના જીવનમાં સુખ શાંતિ હોતી નથી.
ઈન્દ્રાણી મુખરજી જેવા કિસ્સાઓ ઉપભોક્તાવાદની પેદાશ જ છે. મીડિયા માંધાતાઓમાં ફરતી ઈન્દ્રાણીએ સંપત્તિ અને સુખ માટે જ સગી દીકરીનું મર્ડર કર્યું હતું. ઓછામાં ય આનંદ અને સંતોષ અનુભવવો હોય તો ઉપભોક્તાવાદની માનસિકતા બદલવી પડે. પણ ઉપભોક્તાવાદનો ધસમસતો પ્રવાહ દરેકને ઘસડીને પોતાની સાથે પતન તરફ દોરી જઈ રહ્યો છે.


You Might Also Like

0 comments