ઓ રે ગૃહવાસી ખોલ દાર ખોલ ...(સાંજ સમાચાર)

08:19


ઓ ગૃહસ્થ વસંત આવી હવે દરવાજા ખોલ

ગરમીના આગમન સાથે વસંત રસ્તાઓ બની પથરાઈ જાય છે. જરૂર હોય છે ફક્ત દૃષ્ટિકોણની.


શહેરોમાં મોસમનો બદલાવ પ્રદૂષણની વાસમાં ક્યારેય અનુભવાતો નથી. રેટ રેસની ભાગદોડમાં મહામૂલી કુદરતી સંપત્તિને ખોઇ બેઠેલો માણસ સંવેદનશીલ રહેતો નથી. એટલે જ કદાચ મહાનગરમાં મોસમ પણ બદલાતી નથી. મહાનગરમાં જન્મી અને ઉછરેલી મને પણ મોસમના બદલાવની આટલી મોટી અસર મુંબઈ શહેરમાં રહીને અનુભવાઈ ન હોત. પણ સંજોગવશાત સાતેક વરસ પહેલાં પહેલીવાર  ફેબ્રુઆરી મહિનામાં ધરમપુર વિસ્તારમાં જવાનું બન્યું હતું.
વલસાડ સ્ટેશનથી છ એક  કિલોમીટર વટાવીને ધરમપુરનો રસ્તો શરૂ થયો કે જરાક મીઠી મદમાતી સુગંધથી શ્વાસ તરબતર થઈ ગયા. શિયાળો આ વરસનું પોતાનું કામ આટોપીને જવાની તૈયારીઓ કરતો હોય ત્યારે આંબાઓ પર મ્હોર બેસવાની શરૂઆત થાય. આ મ્હોરની સુગંધ આખાય વાતાવરણને તરબતર કરે, એકાદ બે ક્ષણ નહીં પણ જ્યાં સુધી તેને મરવા એટલે કે ફુલ ખરીને ફળ લાગે ત્યાં સુધી. આસપાસ નજર કરી તો આંબાના વૃક્ષો ફુલોથી મ્હોરી રહ્યા હતા. ફળ આવે ત્યારે તેનો દબદબો કંઇ ઓર હોય છે તો કેરી લાગ્યા પહેલાંની તેની સુંદરતા અને સુગંધ શહેરમાં પૈસા ખર્ચતા પણ મળવા શક્ય નથી. કેટલાક વૃક્ષો પર તો એટલા મ્હોર ખીલ્યા હતા કે પાંદડાઓ પણ થોડો સમય નમ્રભાવે પશ્ચાદભૂમાં રહેવાનું પસંદ કરે છે . ખેડૂતો એ વૃક્ષો જોઇને પછી આકાશ તરફ જોઇ કુદરતનો આભાર વ્યક્ત કરતા જોઇ શકાય છે. તે સમયે તેમની આંખમાં અનોખો આનંદ અને સંતોષ હોય છે.
વસંતનું આગમન સૌરાષ્ટ્રના ગીરજંગલમાં પણ અનુભવી શકાતું હશે. ફુલોની ગંધ સાથે માટીની મહેકનો સંગમ અનેરો માહોલ રચી શકે છે. મુંબઈ જેવા શહેરમાં રહેતા લોકોને કેસુડાના કેસરી રંગની કલ્પના જ કરવી રહી. કવિ ટાગોરે વસંતને ઉત્સવ બનાવી દીધો છે. હકિકતમાં વસંત આપણા માટે જીવનનો આનંદ આપનાર, જ્ઞાન લાવનાર કુદરતની મહામૂલી ભેટ છે. જેને ઉપભોક્તાવાદની રેટ રેસમાં આપણે ઝડપથી ભાગી રહ્યા છીએ કે સુગંધ કે રંગની છોળ અડતી નથી. વસંત પંચમીનો તહેવાર ટાગોરના શાંતિનિકેતનમાં ઓ રે ગૃહવાસી... વસંત આવી છે હવે તો દ્વાર ઊઘાડીને તેના રંગોની છોળમાં મત્ત બન... વસંતના ગીતો ગાઈને, કેસરી અને પીળા રંગના વસ્ત્રો પહેરીને લોકો આનંદનો ઓચ્છવ મનાવે છે. વસંતનો એ ઓચ્છવ જીવનને રંગ અને ઉત્સાહથી ભરી દે છે. વસંતની ઉજવણી કરવા માટે આનંદિત અને ઉલ્લાસભર્યું મન જોઈએ. અમદાવાદમાં રહેતા લેખિકા અરુણા જાડેજા પોતાના નાનકડા આંગણામાં ફુલોની રંગોળી કરી સરસ્વતીમાતાનું પૂજન કરે છે. વય વધતાં પણ તેમના જીવનનો ઉત્સાહ મંદ નથી પડતો.  
હું તો મુંબઈમાં ઉછેરેલી એટલે પહેલાં તો ખબર નહોતી પડતી પણ સમજ વિકસતા મુંબઈના  રસ્તા પર આંબા ને તેના પર મ્હોર જોતાં આંખ શીખી ગઈ. જોયાં વિના આંબાના મ્હોર તમારા હૃદયને સ્પર્શે એવું તો મુંબઈમાં શક્ય જ ન બને. શહેરમાં તો આંબાને પણ ખીલ્યાનો આનંદ નહીં મળતો હોય કદાચ. ખેર, પણ મુંબઈમાં પણ વસંતનું આગમન રંગેચંગે થાય છે. સંવેદનશીલ વ્યક્તિ હોય તેને રંગોની છોળ અડ્યા વિના ન રહે. બાકી દરરોજ એસી ગાડીમાં પસાર થઈ જાઓ કે આંખ મોબાઈલ ઉપર ચોંટાડીને દોડાદોડ પસાર થઈ જાઓ તો પણ ખીલેલા વૃક્ષો નજરે નહીં ચઢે. હા સુગંધ તો પ્રદૂષિત હવાને કારણે હૈયાને ન અડે પણ માર્ચથી મેના અંત સુધી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી ફૂલોથી છવાઈ જાય છે. કોયલનો પંચમ સ્વર સૂરજના પહેલાં કિરણો સાથે વસંતના ગીતો ગાઈને તમારું ધ્યાન ખેંચે છે. પણ એસી ચાલુ કરીને સૂતાં મહાનગરવાસીને વૃક્ષ તરફ જોવાની ફુરસદ નથી કે ન તો વસંતને માણવાની ઉત્કંઠા કે ન તો કોયલનો સ્વર હૃદયને ભેદે છે. વસંતના આગમનથી જ આછા વાયોલટ અને સફેદ રંગના ફુલો ધરાવતાં કાંચનારના વૃક્ષની શોભા અનેરી હોય છે. આ ફુલોની સુગંધ ખૂબ જ મીઠી અને મંદ હોય છે. ફેબ્રુઆરીથી છેક એપ્રિલ ને ક્યાંક તો મે સુધી કાંચનાર પર અઢળક ફુલો ખીલે છે. કાંચનાર ગુજરાતમાં ખૂબ જ જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની ઓળખ મને થઈ હતી.
મુંબઈમાં જાન્યુઆરી મહિનો પૂરો થતાં ફેબ્રુઆરીથી તડકો થોડો તીખો બનતો જાય.  માર્ચ-એપ્રિલ-મે મહિનામાં ઉનાળાનો તડકો દાદાગીરીથી પથરાઈને પડ્યો હોય ત્યારે રસ્તાની બન્ને બાજુ પીળા ચટક પેલ્ટાફોરમ પગ પખાળતા વેરાયેલા પડ્યા હોય. પેલ્ટાફોરમના વૃક્ષને લોકો સોનમહોર તરીકે ઓળખે છે. તડકામાં તરબોળ થતી ડામરની  (હવે સિમેન્ટની)  કાળી  સડકો પર પીળા કલરની જાજમ પર ચાલતી વખતે રોમાંચ અનુભવાય. સાથે આછી મીઠી તુરી સુગંધ પણ આવે. ઉપર લાંબે જુઓ તો જ્યાં નજર પડે ત્યાં પેલ્ટાફોરમનો પીળો રંગ મસ્ત બનીને તડકાને હંફાવતો હસતો હોય તેવું લાગે. પેલ્ટાફોરમ આખાય મુંબઈમાં ઠેર ઠેર જોવા મળશે. જુહુના કૈફી આઝમી પાર્ક અને અમિતાભ બચ્ચનના નવા ઘર જલસાની નજીક આવેલ મ્યુનિસિપલ ગાર્ડનમાં તો પીળા ફૂલોનો ગાલીચો પથરાયેલો જ હોય. વસંત બાદ ગરમીની શરૂઆત સાથે વૃક્ષો પર ફુલોનો વૈભવ શરૂ થાય. ભાવનગરમાં પહેલીવાર ગરમાળાનો પીળો રંગ આંખે વળગ્યો હતો તે હજી સ્મૃતિમાં અકબંધ છે. સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે ગરમાળો હવે ખીલવાની તૈયારીમાં હશે.
મુંબઈમાં બાબુલનાથ પાસે લેબર્નમ રોડ આવેલો છે. એક જમાનામાં એ રોડ પર લેબર્નમના વૃક્ષો હોવા જોઈએ. પણ આજે તો નથી જ. જુહુ , માટુંગા ફાઈવ ગાર્ડન અને મુંબઈમાં અનેક જગ્યાએ લેબર્નમ એટલે ગુજરાતીમાં જેને ગરમાળો કહેવાય છે. નાજુક બહુ ઊંચા ન થતા એ વૃક્ષ પર પીળા રંગના ફૂલો સેરની જેમ ઝુમ્મર માફક લટકતાં દેખાય. તેની સુંદરતા માણવા એપ્રિલ મહિનામાં વહેલી સવારે કે ભરબપોરે જોવા જોઈએ. જો બોગનવેલ કોઈએ વાવ્યા હોય કે બાલ્કનીના કુંડામાં હોય તો ત્યાંથી પણ પોતાના વાયોલેટ, સફેદ કે કેસરી રંગોથી આકર્ષ્યા સિવાય ન રહે. મહારાષ્ટ્ર રાજ્યનું ફૂલ તામણ તો કેમ ભુલાય. ઘાટા કે આછા પર્પલ, વાયોલટ રંગના તેના ફુલો લીલા પત્તા સાથે એટલા મનમોહક લાગે કે એકવાર જોયા બાદ તેને ભૂલવા અશક્ય છે.

તેને અંગ્રેજીમાં જાકરેન્ડાના નામે ઓળખવામાં આવે છે. આ તામણ ક્યાંક ગુલાબી રંગના પણ હોય. વાયોલટ રંગના તામણ, પેલ્ટાફોરમ, શિમળો, ગરમાળો  ખીલ્યા હોય. પેલ્ટાફોરમના ફુલો  મે મહિના સુધી મુંબઈને રંગીન બનાવીને આછા થવા લાગે કે તરત જ કેસરી અને લાલ ચટ્ટક રંગના ગુલમહોર દેખા દેવા લાગે.. ઉનાળો તપીને લાલચોળ થયો હોય એવો તેનો વૈભવ. ગુલમહોર વિશે એક વખત નલિની માડગાંવકરે સરસ વાત કરી હતી. કેસરી અને લાલ રંગના ગુલમહોરને બંગાળીમાં કૃષ્ણ ચૂડા કહેવાય છે અને મુંબઈમાં પીળા રંગના ગુલમહોર નથી પણ બંગાળમાં કોલકાતામાં પીળા રંગના ગુલમહોર છે તેને રાધાચૂડા કહેવાય છે. રાતરાણીની મદમાતી સુગંધ રાત પડતાં જ વાતાવરણને મત્ત કરી દે છે. રાતરાણી કેટલાક લોકો કમ્પાઉન્ડમાં કે બાલ્કનીમાં  રોપે છે. આ રાતરાણીને બંગાળીમાં હાસ્નોહાના કહેવાય છે.
 
એ સિવાય રેઈન ટ્રી એટલે કે શિરીષની ઘટા ઘેરી અને છાંયો અદભૂત ઠંડક તો આપે જ પણ તેના પર લીલા ઝીણા પાનની સાથે આછા ગુલાબી રંગના નાજુક ફુલો જાણે મીનાકારી કરી હોય તેવા દૂરથી દેખાય.
 
વસંતનું આગમન પણ શિયાળાની ટાઢને આવજો કહેતા જ થાય અને જેમ જેમ ઉનાળાનો તાપ આકરો થાય તેમ અનેક વૃક્ષો પર ફૂલોની મોસમ પણ શરૂ થાય. અને એ ઉનાળાના આકરા તડકાનો વૈભવ માણવા માટે પરસેવે નીતરવું પડે. એટલે કે એસી ગાડીમાં નહીં પણ પગપાળા ચાલવું જોઈએ. ચાલતાં ચાલતાં ક્યારેય મત્ત કરી દે તેવી આછી સુગંધ આવે તો આજુબાજુ શોધજો તમને લટક ચમેલી અર્થાત કે બૂચનું વૃક્ષ દેખાશે. સફેદ રંગના આ ફુલ ઊંધા લટકતા હોય તેમ બૂચ પર ખીલે. અને તેની સુગંધ દૂર સુધી આવે. એ જ રીતે કૈલાશપતિના ફુલોની સુગંધ પણ તમને એની પાસે ખેંચી જવા મજબૂર કરે.  કૈલાશપતિનું વૃક્ષ જાડું સીધું થડ અને ઊંચું હોય. તેના પર લાલ પીળા રંગના મોટા શિવલિંગ પર નાગ હોય તે રીતના ફુલ ખીલ્યા હોય. તેની સુગંધ તીવ્ર અને મીઠી હોય છે. આ ફુલો શિવલિંગ પર ચઢાવાય છે.
ઉનાળામાં સાંજે કે વહેલી સવારે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ચાલવા જતા આટલા વૃક્ષો તો તેમના રંગ અને સુગંધનો વૈભવ જોઈને સહજતાથી ઓળખી જ જવાય. તમારા શહેર કે તેની આસપાસ  કુદરતી સૌંદર્ય વેરાયેલું પડ્યું હશે જો તેને જોવા માટે સમય કાઢો તો ઉનાળાનો તાપ એટલો આકરો નહીં લાગે. શક્ય છે કે તમે વસંતની અને ઉનાળાની રાહ જોવા લાગશો મારી જેમ. જો કે કુદરતનો આનંદ મેળવવા આપણે ઉપભોક્તાવાદ છોડી નમ્ર બનીને કુદરત સાથે જીવતાં શીખવું પડે. હમણાં તો રજાઓ આવી રહી છે ત્યારે વનવગડામાં મોબાઈલ બંધ કરી આંખ,કાન અને નાક સાથે ખુલ્લાં મને ફરવા જાઓ. વસંત સાથે સમય વીતાવો, વસંતનાએ ફોટાઓ મોબાઈલમાં પાડીને લોકોને મોકલવા કરતાં તેને હૈયે ભરી લેશો તો આખુંય વરસ વસંત બની રહેશે. સૌને વસંતની શુભેચ્છાઓ


You Might Also Like

0 comments