માનવતાની હોસ્પિટલ 22-5-14

00:53


મૃત્યુ બાદ સાથે કશું જ નહીં આવે....આવા શબ્દો આપણે અનેકવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે બોલીએ પણ છીએ. પરંતુ, આપણે કોઇપણ માલિકીભાવ જતો કરવા તૈયાર નથી હોતા. બે પાંચ રૂપિયા માટે ય આપણે રકઝક કરતાં નથી અચકાતા. પરંતુ, ઉપરોક્ત શબ્દો બંગાળના નાના ગામની ગરીબ સ્ત્રી સુભાષિની મિસ્ત્રી બોલે છે ત્યારે ઠાલા નથી લાગતા. કારણ કે સુભાષિનીએ પોતે કશું જ નથી ભોગવ્યું પણ ગરીબોને માટે કોલકોતા નજીકના એક ગામમાં હ્યુમેનિટી હોસ્પિટલ શરૂ કરીને મોટું કામ કર્યું છે. ટીવી પર કે અખબારોમાં તેના કાર્ય વિશે લખાય તે માટે આ કામ નથી કર્યું. પરંતુ પોતાના પર વીતી તે બીજા પર ન વીતે તે માટે એણે આ સમાજસેવાનું કામ કર્યું છે. પણ હવે દરેક મીડિયામાં તેના કાર્ય વિશે નોંધ લેવાઇ છે.

સુભાષિની બંગાળના અત્યંત ગરીબ પરિવારમાં જન્મી હતી અને અત્યંત ગરીબ ખેત મજૂરને પરણી હતી. હંસપુકુર ગામમાં મહિને ફક્ત બસો રૂપિયા કમાતા તેના પતિને પરણીને આવી ત્યારે તે બાર જ વરસની હતી. આખો દિવસ ઘરકામ કરતી સુભાષિનીના જીવનમાં ચાર બાળકો અને પતિ માટે રાંધવા સિવાય કોઇ બીજો વિચાર નહોતો. ૧૯૭૧ની સાલમાં તેનો પતિ ચંદ્રા બીમાર પડ્યો. સખત પેટની પીડા સાથે તેને તાલુકાના શહેર ટોલિગંજમાં આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ, પૈસા વગરના દર્દી તરફ અહીં ડોકટરો અને નર્સોએ ત્વરિત ધ્યાન ન આપ્યું અને તે મૃત્યુ પામ્યો. સુભાષિનીએ મૃત પતિ સામે રડતાં મનમાં નક્કી કર્યું કે તે ગરીબો માટે હોસ્પિટલ બનાવશે. ચાર નાના નાના બાળકો અને કોઇ આવક નહીં છતાં આવડું મોટું સપનું જોવાની હિંમત અભણ સુભાષિનીએ કરી. સુભાષિનીએ ફક્ત લાગણીના આવેશમાં આવું સપનું નહોતું જોયું. તેણે પોતાનું અને બાળકનું ભરણપોષણ કરવા માટે લોકોના ઘરે ઘરકામ કરવા માડ્યું. તેમાંથી તેને મહિનાના માંડ સો રૂપિયા મળતા હતા. સમય જતાં તેને સમજાયું કે ઘરકામ કરવા કરતાં શાક ઊગાડીને વેચવામાં વધુ પૈસા મળે છે અને તેણે ધાપા ગામમાં શાક વેચવાનું શરૂ કર્યું.

તેનો મોટો દીકરો અજય ભણવામાં હોશિયાર હતો પણ તેની પાસે કઇ તેને ભણાવવાના પૈસા નહોતા એટલે તેણે દીકરાને કલકત્તાના એક અનાથાલયમાં મૂક્યો. બાકીના ત્રણ બાળકો માતાને મદદ કરતા. એવું કોઇ કામ નહોતું કે સુભાષિનીએ ન કર્યું હોય. કચરા પોતા, ગાર્ડનિંગ, બુટપોલીસ, રસોઈ, ઘર રૂપિયા ૧૦૦૦૦માં (દશ હજાર રૂપિયા) એક એકર જમીન ખરીદી. પછી ગામવાળાઓને હાકલ કરતાં તેમણે થોડી વસ્તુઓ અને નવસો એક રૂપિયાની સહાયથી ત્યાં નાનું કાચું મકાન બાંધી ડિસ્પેન્સરી શરૂ કરી. તેમાં આસપાસના ગામના ડોકટરોને મફત સેવા આપવા માટે વિનંતી કરી. પહેલાં જ દિવસે અઢીસો જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી. પછી તો તેનો દીકરો અજય ડોકટર થયો અને તે પણ માતાની સાથે સેવા કાર્યમાં જોડાઈ ગયો. ધીમે ધીમે કરતાં આજે બે માળનું મકાન ધરાવતી હ્યુમેનિટી હોસ્પિટલ ગરીબ દર્દીઓને તદ્દન મફત સારવાર આપી રહી છે. તો ગરીબી રેખાની ઉપર જીવતા પરિવારો પાસેથી ટોકન રૂપે થોડી રકમ લે છે. પછી તો તેની દીકરી પણ નર્સ બની. દીકરાની વહુ પણ હોસ્પિટલના કામમાં જ જોડાઇ. સુભાષિનીએ ત્યારે પણ શાક વેચવાનું ચાલુ રાખ્યું હતું. અને પોતાની કમાણી હોસ્પિટલ માટે વાપરતી. આજે તો દરેક પ્રકારના રોગોની સારવાર અહીં થાય છે. તે છતાંય સંઘર્ષો ઓછા નથી થઈ જતા. રોજ નવી ટેકનોલોજી આવે અને સારવાર માટે જરૂરી આઇસીયુ યુનિટ, ઓપરેશન થિયેટર વગેરે જરૂરિયાતો માટે તે આજે પણ સતત મહેનત કરે છે.

સુભાષિનીને પોતે કરેલા સંઘર્ષ વિશે કોઇ અફસોસ નથી. એ ઘણી જ સહજતાથી કહી શકે છે કે મને કોઇ અફસોસ નથી કે મારાં બાળકોને અનાથાશ્રમમાં ભણાવવા પડ્યાં. અને ભૂતકાળમાં તકલીફો વેઠવી પડી. એ વખતે સંજોગો જ એવા હતા. પણ મને આનંદ છે કે મારાથી જે થઈ શકે તે મેં કર્યું છે. હા, મારા પતિને સારવાર ન મળતા મૃત્યુ પામ્યા તે વખતે હું ખરેખર ભાંગી પડી હતી. પણ દુખી થઈને રોદણાં રડવા મને પોષાય તેમ નહોતા. મારી સામે ચાર ભૂખ્યાં બાળકો હતાં. મારો મોટો દીકરો સાડાચાર વરસનો અને નાની દીકરી દોઢ વરસની હતી. સંજોગોને લીધે દરેક વ્યક્તિઓએ કેટલીક પરિસ્થિતિઓમાંથી પસાર થવું જ પડતું હોય છે. સુભાષિની એકસ્ટ્રા ઓર્ડિનરી સ્ત્રી છે તેમાં કોઇ નવાઈ નહીં. એટલે જ તે નમ્રતાથી આવું કહી શકે છે. સુભાષિની જાતે હોસ્પિટલમાં જઇને દરેક દર્દીઓની સુવિધાનું ધ્યાન રાખે છે. તેમને કોઇ તકલીફ નથી ને તે પૂછી લે છે. જરૂર પડે તે નર્સની જેમ સેવા પણ કરે છે.

સુભાષિની આજે પણ તેના પતિના ઝૂંપડાંમાં રહે છે. તે ધારત તો સારું મકાન, ઘરેણાં , સાડી લઈ શકી હોત પણ તેનું કહેવું છે કે મૃત્યુ સમયે આ બધી ભૌતિક વસ્તુઓ સાથે નહીં આવે પણ હસતા ચહેરાઓ જોઇને મને જે સુખ, આનંદ અને શાંતિ મળે છે તેનું કોઇ મૂલ્ય નથી. સુભાષિનીની વાત સાંભળીને નત મસ્તક થઈ જવાય છે. જ્યારે એની સામે મુંબઈ જેવા શહેરમાં પણ મ્યુનિસિપલ હોસ્પિટલોમાં અનેક તકલીફો છે. કેટલીય વખત ગરીબોને હેરાન થવું પડે છે. સુવિધાઓ અને સ્વચ્છતાને અભાવે અનેક ગરીબો પીડાય છે. મૃત્યુ પામે છે. તો એની સામે અનેક ખાનગી હોસ્પિટલો જરૂરતમંદની સહાય કરવાની પણ ના પાડી દેતી હોય છે તો મોટાભાગના ગરીબો એવી હોસ્પિટલના પગથિયાં ચઢવાની હિંમત પણ નથી કરી શકતા.

You Might Also Like

0 comments