કેળના પત્તા પર ઉડિપી ભોજન

04:59







 સાદુ, સ્વચ્છ અને સસ્તું  ઉડિપી ભોજનાલયે વરસોથી પોતાની શાખ જાળવી રાખી છે. ઉડિપી ભોજનનો મુંબઈને ચટકો લગાડનાર રામા નાયકનું ભોજનાલય અનોખું છે. 

સેન્ટ્રલ માટુંગામાં સ્ટેશનની બહાર નીકળતાં લાલબહાદુર શાસ્ત્રી માર્કેટ મકાનમાં પહેલાં માળે રામા નાયક ઉડિપી શ્રી કૃષ્ણ બોર્ડિગ આવેલું છે.  પાટાને લગોલગ આવેલા કમ્પાઉન્ડમાંથી દાદર ચઢીને  પહેલા માળે જવાનું.  જો રજાના દિવસે ગયા હો તો અંદર જઈ કુપન લઈ તમારો નંબર આવે તેની રાહ જોવાની. મોટા પેસેજમાં થોડા લોકો બેસી શકે તેની વ્યવસ્થા છે. ત્યાં ઉપર ડિજિટલ નંબર બ્લિન્ક થાય.  અંદર ડાબી બાજુના રૂમમાં લિમિટેડ થાળી જમનારા બેસે અને સામે મોટા હોલમાં અનલિમિટેડ ભોજન જમનારા બેસે. ભાડુંપ, અંધેરી, મુલુંડ, દક્ષિણ મુંબઈથી અહીં જમવા આવનારા છે. 
 ભોજનાલયમાં એસી રૂમ નથી. સાદા બાંકડા અને લાંબી ટેબલ ટિપિકલ લોજની યાદ અપાવે.  અંદર દાખલ થતા સતીષ રામા નાયક ગલ્લા પર બેસેલા દેખાય. સતીષજીને અમે પૂછ્યું કે વરસોથી ભોજનાલયમાં કોઈ ફરક નથી તો તમને જમાનાની સાથે બદલાવ લાવવાની ઈચ્છા નથી થતી. સતીષજી તરત કહે છે કે, “નોઓઓઓ, અમારા પિતાજીએ જ્યારે ભોજનાલય શરૂ કર્યું હતું ત્યારે એક ભાવના એમાં હતી.  મારા પિતાજી  રામાનાયક અગિયાર વરસની ઉંમરે તેમના  પિતાજીનું મૃત્યુ થતા કમાણી માટે  અક્કર નામના ઉડિપી ગામમાંથી મેંગલોર થઈને મુંબઈ આવ્યા.  લગભગ ૧૯૧૩-૧૪ની સાલ હશે. મુંબઈમાં એકાદ બે રેસ્ટોરન્ટમાં કામ કરીને ભોજન બનાવવાથી લઈને કેશ કાઉન્ટર સંભાળવા સુધીના દરેક કામ શીખ્યા.  એમને ખ્યાલ આવ્યો કે મુંબઈમાં ઉડિપી ભોજન ત્યારે મળતું નહોતું. ઉડિપી ભોજન કોકોનટ ઓઈલમાં બને. વળી તેમના પર ગાંધીજીની પણ અસર હતી. તે સમયે એટલે કે આઝાદી પહેલાં દરેક હોટલ ના નામ ઉપરથી જાતિ-જ્ઞાતિ ખબર પડતી. જો ગૌડ સારસ્વત બ્રાહ્મણની હોટલ હોય તો  બ્રાહ્મણો જમવાનું બનાવે અને એટલે બ્રાહ્મણો જમી શકે એવું માની લેવામાં આવતું.   ૧૯૪૨ની સાલમાં જ્યારે ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ શરૂ થઈ ત્યારે મારા પિતાજીએ બોર્ડિંગ હાઉસ શરૂ કર્યું ત્યારે એમણે નક્કી કર્યું હતું કે અહીં દરેક વ્યક્તિ ભોજન કરવા આવી શકે, બીજું કે તે સસ્તું હોવું જોઈએ કે જેથી દરેકને પરવડે અને ત્રીજું સ્વાસ્થ્યપ્રદ ભોજન હોવું જોઈએ. પરંપરા આજે પણ અમે ચાલુ રાખી છે.” 
થોડું અટકીને કહે, “ શુધ્ધ શાકાહારી ભોજનલાય ખરેખર તો મિલ વર્કરોને સસ્તા દરે અને શુધ્ધ ભોજન મળે તે માટે શરુ કરેલું.  આજે ૭૮ વરસ પછી પણ ભોજનાલય સસ્તુ અને શુધ્ધ શાકાહારી દક્ષિણ ભારતીય ભોજન પીરસે છે.  પરંપરામાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી લાગતી.  અમારા ભોજનની કુલ કેલેરી ફક્ત ૧પ૦૦ છે.  અમારા પિતાજીનો જે  સિદ્ધાંત હતો કે સર્વ વ્હોટ યુ કેન ઈટ એજ અમે જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા રસોડામાં કોઈપણ જઈને જોઈ શકે છે. અમારે વધારે પૈસા કમાવા નથી. જે મળે છે તેમાં સંતોષ છે એટલે ભોજનાલય હંમેશ સાદું, સ્વચ્છ અને સસ્તુ રહેશે.” 
રસોડામાં દરેક વ્યક્તિ પગમાં ચપ્પલ પહેર્યા વિના કામ કરે છે. એક વ્યક્તિ સતત ફર્શ સાફ રાખે. આખું ભોજન વરાળથી બને એટલે રસોડામાં ગરમી નથી લાગતી. દરેક વ્યક્તિ ટુવાલ અને ગંજી પહેરીને કામ કરતી હતી. ગુજરાતીઓનો વિસ્તાર હોવાથી અને જૈનો પણ ખાઈ શકે એવું ભોજન હોવાથી હવે રોટલી પણ મળે છે અને ગરમા ગરમ ફુલકા ઉતરતી બહાર જમવા બેસો તો પણ જોઈ શકાય. રસોડાના બારણા અહીં ખુલ્લા રાખવામાં આવે છે. 
 આજે રામા નાયકની ત્રીજી પેઢી એટલે કે તેમનો ચાલીસ વરસનો પૌત્ર શશાંત નાયક પણ દેખરેખ રાખે છે. તે એમબીએ થયો છે પણ પોતાના દાદા અને પિતા સતીષ રામા નાયક ધ્વારા સંચાલિત ભોજનાલયની પરંપરા જાળવવામાં માને છે.  નોન એસી પણ સુઘડ સ્વચ્છ ભોજનાલય તમને તેના સ્વાદિષ્ટ ભોજન માટે જરુર લલચાવે. એક તો અહીં ફક્ત ૧૧૫  રુપિયામાં લિમિટેડ થાળી મળે છે, સ્વીટ ડિશ થોડા રુપિયા આપી લઈ શકાય. લિમિટેડ થાળીમાં બે રોટલી, બે વાટકી ભાત, બે શાક, એક કઠોળ, રસમ, દાળ,સાંભાર, દહીં,છાશ અને પાપડ અથાણું પણ ખરું .  સામાન્ય ખોરાક ખાતી વ્યક્તિ માટે પૂરતું છે બીજું ૨૧૦ રુપિયામાં અનલિમિટેડ થાળી મળે જેમાં ફક્ત સ્વીટ એક વખત મળે બાકી બધું અનલિમિટેડ. કેળના પાન પર કે સ્ટીલની થાળીમાં તમારે જે રીતે ખાવું હોય તેની છૂટ. દરેક શાકમાં ગ્રેવી રુપે કે એમને એમ પણ ઉડીપી રીતે બનાવેલ હોય એટલે કોપરું તો હોય . પણ તેલ અને મરચું પ્રમાણસર જરાય વધારે નહીં. ખાતી વખતે તમારા હાથ ચીકણા થાય નહીં. એટલે પૌષ્ટિકતો ખરું . દહીં મોળું, અથાણાંમાં તેલ નહીં, અથાણામાં રાઈનો સ્વાદિષ્ટ સ્વાદ જીભને ચટાકા કરવા પૂરતો છે. રસમ અહીં દરરોજ અલગ હોય છે. સોમવારે ભોજનલાય બંધ હોય છે. એટલે મંગળવારે કોકમ, બુધે મસાલા ગુરુએ આમચુર શુક્રએ ચણા શનિએ લેમન રવિએ ટોમેટો રસમ મળે. તો દક્ષિણ ભારતીય સ્વીટ પાયસમ પણ રોજ જુદી હોય. દૂઘમાં બનતી સ્વીટ ડીશ જરુર ચાખવા જેવી છે. મંગળવારે રવા, બુધે સેવૈયા,ગુરુએ મગનીદાળ, શુક્રએ લાપસી , શનિએ સાબુદાણા અને રવિવારે બાસમતી ચોખાનું પાયસમ મળે. કઠોળ પણ દરરોજ જુદું  સ્પ્રાઉટ મગ, ચણા, તુવેર, પૂનાવાલા વાલ એમ વારાફરતી. અહીં ભોજનમાં વપરાતું ઘી પણ તેઓ ઘરનું બનાવેલું વાપરે છે. 
સિવાય અઠવાડિયામાં એકાદ બે વાર ફ્રુટ હલવો હોય છે. સફરજન,મેંદો,ચણાનોલોટ વડે બનાવેલ હલવો એટલે કે શીરો દેખાવે અને સ્વાદે પણ હટકે હોય છે. અહીં દાળ ફક્ત દાળ એટલે કે બાફેલી, મીઠું નાખેલી હોય છે. પણ સાંભાર સ્વાદિષ્ટ હોય છે.અને રસમ તો સુપની જેમ પીવાનો હોય. અહીં બોર્ડ મારેલું છે કે  રસમ કે સાંભારનો બગાડ કરનાર પાસેથી ૧૫ રુપિયા વધારાના ચાર્જ કરવામાં આવશે. સતીષ નાયક કહે છે કે, “અમે ઇચ્છીએ કે ભારતીય તરીકે આપણે ભોજનને પ્રસાદ રુપે જોઇએ અને તેનો બગાડ કરીએ. આપણે નસીબદાર છીએ કે આપણને ભોજન મળે છે. ભૂખ્યા લોકોનો વિચાર કરીને પણ જેટલું ખાઈ શકીએ તેટલું ખાવું જોઇએ અને હા ભોજન લેતી સમયે મોબાઈલ પર કે અંદરો અંદર વાત કરતા ભોજનને ન્યાય આપો તો આરોગ્ય માટે સારું. “  શશાંત કે સતીષ નાયક જે હાજર હોય તે અહીં ભોજન કરે છે. પાણી ફિલ્ર્ટર્ડ કરેલું હોય છે. છાશમાં આદુ,મરચા અને કોથમરી નાખવામાં આવે છે જેથી ભોજન સુપાચ્ય બને. હા ફક્ત પાપડ તળેલો હોય છે.  ગૌડ સારસ્વત બ્રાહ્મણનું ભોજનાલય છે તેઓ ભોજનને ભગવાનનો ભોગ ગણીને ખાય છે અને પીરસે છે.  અહીં મિત્રોને કે સ્વજનોને બેજીજક પાર્ટી માટે લઈ જઈ શકાય છે. 

You Might Also Like

0 comments