આતા માઝી સટકલી

04:21




અઠવાડિયા પહેલાં બિહારમાં ૨૧ વર્ષના રોકીની લેન્ડ ક્રુઝરને બીજી ગાડીએ ઓવરટેક કરતાં તેની સટકી ગઈ. મેરી ગાડીકો ઓવર ટેક.... એ નાની ગાડીમાં ચારેક કિશોરો પાર્ટી કરીને ઘરે જઈ રહ્યા હતા. તેમનો પીછો કરી ઓવર ટેઈક કેમ કર્યું કહેતાંની સાથે ગુસ્સામાં ઢીસકાઉં.... ગોળી ચલાવી દીધી તેમાં એક કિશોર આદિત્યનું મોત થયું ત્યારબાદ રોકી ભાગી ગયો અને છુપાઈ ગયો. જો કે તેને પકડી લેવામાં આવ્યો અને તેણે ગુનો પણ કબૂલ કરી લીધો. રોકી અને આદિત્યના ઘરવાળા એ જ વિચારતા હશે કે આ ઘટના ટાળી શકાઈ હોત. 

અહીં વરસો પહેલાં જોયેલી એક અંગ્રેજી ફિલ્મ માઈકલ ડગ્લાસ અભિનીત જ્હોન શૂમાકર દિગ્દર્શિત ફિલ્મ ‘ફોલીંગ ડાઉન’ યાદ આવે છે. ૧૯૯૩માં બનેલી આ ફિલ્મ આજે પણ એટલી જ સમકાલીન લાગી શકે છે. ૧૯૯૦માં અમેરિકામાં મંદીને કારણે અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. ફિલ્મનો હીરો એન્જિનિયર છે અને તેની નોકરી છૂટી ગઈ છે. તેના છૂટાછેડા થઈ ગયા છે અને દીકરી તેની એક્સ વાઈફ સાથે છે. તેની દીકરીના જન્મદિનની પાર્ટી માટે ઘરે પહોંચવાનું છે. લોસ એન્જલેસના રસ્તા પર સાંજે ટ્રાફિક જામ હીરો માઈકલને જબ્બરો આવેશ અને ગુસ્સો આવે છે. ટ્રાફિક હલતો નથી એટલે તે ગુસ્સામાં ગાડી એમ જ રસ્તા પર વચ્ચો વચ્ચ મૂકીને ચાલતી પકડે છે. ગુસ્સો ઉતારવાની આ પણ એક રીત હતી. અમેરિકામાં, મેક્સિકો અને ભારતમાં પણ રસ્તા પર વાહન ચલાવનારમાં જો સહિષ્ણુતાની કમી હોય કે ક્રોધી સ્વભાવ હોય તો વાત વાતમાં દિમાગ સટકી જતા વાર નથી લાગતી. ગુસ્સો એ પુરુષોના હોર્મોનમાં અને સ્વભાવમાં જ હોય છે. 



આને તે કંઇ શાક કહેવાય.... કહેતાં જ થાળી ઊછળીને પડે. મારું મનગમતું શર્ટ નથી મળતું... કહેતાં આખોય કબાટ ફેંદાઈ જાય.... પોતાની જ ભૂલ હોય છતાં રિક્ષાવાળાને ગાડી પર પડેલાં ઘસરકાને કારણે માબહેનની ગાળો અપાય જાય. ગુસ્સો કરવો એ જાણે પુરુષોનો જન્મસિધ્ધ અધિકાર માની લેવામાં આવે છે. જેમ સ્ત્રીઓ હોર્મોનલ ચેન્જને કારણે ચીડયણ થઈ જાય તેમ એડ્રિનલ ગ્રંથિ અને ટેસ્ટેટોરોન હોર્મોનને કારણે પુરુષો અગ્રેસિવલી બિહેવ કરતાં હોય છે. પુરુષની આ ગ્રંથિઓ જ તેને પુરુષપણું આપતી હોય છે. પરંતુ પુરુષનો અગ્રેસિવ સ્વભાવ જ્યારે તાર સ્વરે પહોંચે એટલે કે ગુસ્સો આવે ત્યારે સૌથી વધુ પીડા તે પોતાની સૌથી નજીકની વ્યક્તિઓને આપતો હોય છે.

પત્ની અને બાળકો પુરુષના ગુસ્સાનો ભોગ સહજતાથી બની જતા હોય છે. જો કે ગુસ્સો ઊતર્યા બાદ એ જ પુરુષ ગુનાહિત લાગણી પણ અનુભવતો હોય છે. તેને દુ:ખ પણ થાય છે કે કેમ તેણે પોતાના પર ક્ધટ્રોલ ન કર્યો. મોટાભાગે તે પોતાના પ્રિયપાત્રની માફી માગી લે છે, બીજીવાર એવું નહીં થાય તેની બાંહેધરી ય આપે. તે છતાંય મોટાભાગના પુરુષો વારંવાર ગુસ્સે થતા હોય છે. શું કામ ? આ સવાલ એ પુરુષને પૂછો તો એને પણ ખબર નથી હોતી. ગુસ્સો આવવો તે પૌરુષીય લક્ષણ હોવાનું માનવામાં આવે છે. એક સર્વે પ્રમાણે ૩૧ ટકા સ્ત્રીઓ ગુસ્સો કરતાં પતિની સાથે રહેતી જ હોય છે. કારણ કે એ પુરુષ જ્યારે ગુસ્સામાં નથી હોતો ત્યારે ઘણો સારો હોય છે. તેના ગુસ્સા સિવાય તે સ્ત્રીને પતિ માટે કોઇ ફરિયાદ નથી હોતી. 

ડૉ. લીન નામના સાયકોલોજીસ્ટ થેરેપીસ્ટ લખે છે કે સંશોધન ધ્વારા સાબિત થયું છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ગુસ્સાવાળા હોય છે. સ્ત્રીઓના મગજમાં એવી રચના છે કે તે લાગણીઓ સાથે સંવાદિતા જાળવી શકે છે એટલે ગુસ્સાને તેઓ સહજતાથી અપનાવી શકે છે. જ્યારે પુરુષોના ઊંચા ટેસ્ટેટોરોન લેવલને કારણે આક્રમક વલણને ગુસ્સા દ્વારા અભિવ્યક્ત કરે છે. જેને પૌરુષીય ગુણ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. બાળક હોય ત્યારથી જ તે હિંસાત્મક કોમ્પ્યુટર ગેમ રમે છે અને મોટો થયા બાદ હિંસાત્મક ફિલ્મો પણ પુરુષ દર્શકો માટે જ બને છે. રોડ પર પૂરપાટ વાહન ચલાવવું કે ઓવરટેક કરવું કે પછી ઓવરટેક કરનારા પર ગુસ્સો વ્યક્ત કરવો, ગાળો બોલવી, હુલ આપવી આ બધા લક્ષણો રોડ રેજના છે. જો કે આવું થવા પાછળ પુરુષનો ઉછેર અને માનસિકતા ભાગ ભજવતા હોય છે. 



એવું માની લેવામાં આવે છે કે સામી વ્યક્તિએ કંઇક ખોટું કર્યું હતું એટલે જ ગુસ્સો આવ્યો. ગુસ્સે થતો પુરુષ પત્ની કે બાળકોની ભૂલ પર ગુસ્સે થતો હોવાની દલીલ કરશે. પણ હકીકતમાં તો ગુસ્સો આવવાના કારણો જુદા હોય છે. ખરો પુરુષ સામી વ્યક્તિની ભૂલ પર ગુસ્સે થઈને હિંસા પર નહીં ઉતરી આવે પણ શાંત રહીને સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરી શકતો હોય છે.

મોટાભાગે પુરુષો પોતાની લાગણીઓ દર્શાવતા નથી. રડવું, હતાશા, નિરાશા, પીડા વગેરે લાગણીઓ પુરુષને નબળો બનાવે છે તેવી માન્યતા છે, પણ આ બધી ભીતર ધરબાયેલી લાગણીઓ જરાક ટ્રીગર થતાં ગુસ્સાના સ્વરૂપે બહાર આવે છે. હકીકતે જે પુરુષ સતત કોઇ ભયમાં જીવતો હોય છે તેને ગુસ્સો જલ્દી આવતો હોય છે. મેન ડોન્ટ લિશન નામના પુસ્તકમાં લેખક વેયન મિસનર સરસ રીતે આ બાબતની છણાવટ કરે છે જેમકે ફેઇલ્યોરિટીનો ભય, રિજેકશનનો ભય, એકલા પડી જવાનો ભય વગેરે. મોટેભાગે આવી વ્યક્તિ જરૂરી હોય એના કરતાં વધુ ગુસ્સો દર્શાવી ઓવર રિએક્ટ કરતી હોય છે. આવા પુરુષોના જીવનમાં બાળપણથી જ અનેક જાતના અસંતોષનો ધૂંધવાટ સંઘરાયેલો હોય છે. બીજું કારણ , આવા પુરુષોએ અનુભવ્યું હોય છે કે ગુસ્સો કરવાથી તેમનું કામ થતું હોય છે એટલે ગુસ્સાનો તેઓ કામ કઢાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરતાં હોય છે. ગુસ્સો પણ ત્રાગાંનો એક પ્રકાર છે. બાળક હોય ત્યારે ગુસ્સો વ્યક્ત કરતાં જોઇતી વસ્તુ મળી જાય તો એ બાબત અજાગૃત મનમાં સંઘરાઇ જતી હોય છે. ગુસ્સો કરવાથી કોઇપણ નાની હા થઈ જાય તો બીજીવાર એ જ પેટર્નમાં વર્તન કરવાની આદત પડી જતી હોય છે.

એવા વર્તનનો ભય પામ્યા વિના સામી વ્યક્તિઓ જો પ્રતિસાદ ન આપે તો શક્ય છે કે ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે, કારણ કે ગુસ્સાવાળી વ્યક્તિની આસપાસ લોકો સતત ભયમાં રહેતા હોય છે. તેમને એ પુરુષ ક્યારે કેમ વર્તશે તેનો સતત ભય રહેતો હોય છે. ગુસ્સાને પુરુષાતનની ખોટી માન્યતામાં ન ઢાળી દેતા તેના મૂળમાં જઈને સમજવાની જરૂર હોય છે, કારણ કે ગુસ્સામાં વ્યક્તિ કેવું વર્તન કરશે તેનું ભાન રહેતું નથી. ગુસ્સામાં જ વ્યક્તિ માણસાઈની સીમા ઓળંગી જઇને ક્યારેક ક્રૂરતા આચરી દેતો હોય છે. ગુસ્સો ઊતરી જતાં ફક્ત પસ્તાવાનું જ રહે છે. 

પૌરુષીય અહંકારને કારણે પણ આ બિનજરૂરી આક્રોશ કે આક્રમકતા દેખાતી હોય છે. આપણે ત્યાં આવી આક્રમકતાને ચલાવી લેવાય છે. તેમાં ઘરની સ્ત્રીઓ જવાબદાર હોય છે અને બહારના પુરુષો. પુરુષોને તો ગુસ્સો કરવાનો અધિકાર હોય છે. એવું માની લેવાય છે. તેમાંય સત્તાશાળી પુરુષ તો જ કહેવાય જો તે આક્રમક સ્વભાવ ધરાવતો હોય. ક્યારેક વ્યક્તિ દેખાડાને લીધે આ રીતે વર્તતી હોય છે તો ક્યારેક પોતાની સત્તા સાબિત કરવા માટે આ રીતે વર્તવાનું શરૂ કરે છે. પછી તેને ખ્યાલ પણ ન રહે તે રીતે આક્રોશ તેના સ્વભાવમાં વણાઈ જાય છે. હા જો વ્યક્તિ સભાન હોય કે પછી તે વ્યક્તિની આસપાસની વ્યક્તિઓ જાગૃત હોય તો આ સ્વભાવ બદલાઈ શકે છે.



આક્રમકતા અને આક્રોશ આમ તો બે જુદી અભિવ્યક્તિ છે. હ્યુમેનિસ્ટિક સાયકોલોજિસ્ટ્સ અગ્રેશનને બે વિભાગમાં વહેંચે છે. એક તો કુદરતી અને હકારાત્મક આક્રમકતા જે સામાજિક અન્યાય કે પૂર્વગ્રહ પ્રેરિત પક્ષપાતી વલણ સામે વિરોધના સૂરમાં બહાર આવે. તો બીજું પેથોલોજિકલ અગ્રેશન-આક્રમકતા બહાર આવે જ્યારે વ્યક્તિ ફ્રસ્ટ્રેશન અનુભવે છે. આળી બની જાય છે. વિનોદ રાય અને કિરીટકુમાર આ પેથોલોજિકલ અગ્રેશનના પ્રકારમાં આવે. આપણી આસપાસ મોટાભાગની વ્યક્તિઓ ફ્રસ્ટ્રેશનને કારણે સતત આક્રોશ અને આક્રમક બનતી હોય છે. અને આસપાસની વ્યક્તિઓ જે તેમના આક્રોશ કે આક્રમક સ્વભાવને નપુંસક ન કહી શકે કે વિરોધ ન કરી શકે તે લોકો વળી પાછા ફ્રસ્ટ્રેશન અનુભવે અને આમ વ્યક્તિઓની સંખ્યા વધતી જાય. સમાજ આખો આક્રોશમાં જીવે ત્યારે દાદરી અને અમદાવાદમાં અનામત આંદોલનમાં હિંસા સર્જાઈ તેવી હિંસાઓની હારમાળા રચાય. 

વળી સમાજમાં મોટાભાગની વ્યક્તિઓ આવી સૂક્ષ્મ હિંસાઓ કરતી હોય છે. હિંસાને તેઓ સ્વીકારી નથી શકતી અને દબાવી રાખેલો ગુસ્સો, આક્રોશ બીજી રીતે બહાર નીકળે છે. ટ્રેનની ભીડમાં થતાં મોટા ભાગના ઝઘડાઓ આવા દબાવી રાખેલા આક્રોશનું પરિણામ હોય છે તે દેખાઈ આવે છે. એ દરેક ઝઘડાઓનો કોઈ અર્થ નથી હોતો. એ આક્રોશના મૂળ વળી ક્યાંક બીજે જ હોય છે. કેટલીક વખત એ વાક્ય પણ ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. સમજદાર અને જાગૃત વ્યક્તિ ક્યારેય હિંસક નહીં બને. સામી વ્યક્તિની હિંસાને વળતો જવાબ પણ નહીં આપે. તે જોઈ શકશે કે હિંસાથી કોઈ પ્રશ્ર્નોના ઉકેલ નથી આવતા પણ કામ બગડતા જ હોય છે. આ આક્રમકતા, આક્રોશ પુરુષમાં સહજ હોય જ તે સ્વીકારેલી સમાજની માન્યતાને કારણે જ કોઈને દેખાતો નથી. હા પોષાય છે જરૂર. તેમાંથી સમસ્યાઓ ઊભી થાય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિનો ભય ન લાગે તેવી આદર્શ પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી. ભગવાનથી પણ ડરીને જ જીવવાનું શિખવાડાય છે. પાપ અને પુણ્યના ભેદ ડર પેદા કરવા માટે જ માનવી દ્વારા રચવામાં આવ્યા છે. બાકી ભય આપે તેને ભગવાન કઈ રીતે કહી શકાય ? આક્રોશ અને આક્રમકતાના ધુમ્મસમાં સ્પષ્ટ રીતે વિચાર થઈ શકતો નથી. ક્રોધ આંધળો હોય છે તે કહેવત આપણને ખબર જ છે. 

અહીં જાણીતા હિન્દી સાહિત્યકાર નરેન્દ્ર મહેતાના કાવ્યની એક પંક્તિ યાદ આવે છે,

સામનેવાલા અગર ક્રોધસે પશુ હો જાએ

તો રાહ દેખો ઉસકે પુન: મનુષ્ય હોને કી. 

પશુ અને પુરુષમાં શું આ જ તફાવત નથી ?

You Might Also Like

0 comments