પૃથ્વી પર મુંબઈ અને મુંબઈમાં પૃથ્વી

08:23











કલાથી કેફૅ સુધીની યાત્રા 


જે વ્યક્તિને નાટકમાં રસ હોય કે પુસ્તકમાં રસ હોય અને કોફીમાં રસ હોય તો તે વ્યક્તિ મુંબઈમાં આવેલા પૃથ્વી પર જરૂર પહોંચશે. નાટ્યપ્રેમીઓ માટે પૃથ્વી થિયેટર મક્કા સમાન છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. એક એવું સ્થળ કે જ્યાં ક્રિએટિવ વ્યક્તિને પ્રેરણા મળી શકે. વિલેપાર્લા વેસ્ટમાં જુહુ વિસ્તારમાં આવેલ જાનકી કુટિરમાં આવેલું પૃથ્વી થિયેટર સ્વ. પૃથ્વીરાજ કપુરનું સપનું હતું જે શશી કપુર અને તેમના પત્ની જેનીફર કપુરે પુરું કર્યું. નાટકને વરેલા પૃથ્વીરાજ કપુરે જમીન લીઝ પર લઈ રાખી હતી. લીઝ પુરી થતાં કપુર ખાનદાને તે ખરીદી લીધી. ૧૯૪૨ની સાલથી પૃથ્વી થિયેટર કે જે પ્રવાસ કરતાં રહીને નાટકો કરતું હતું તેને એક જગ્યાએ સ્થિર કરવાની તેમની ઈચ્છા હતી. તે છેક ૧૯૭૮ની સાલમાં પૂરી થઈ. કુણાલ કપુર જેઓ થિયેટરના એક ટ્રસ્ટી છે તેઓ જણાવે છે કે પિતા શશી કપુર અને માતા જેનિફરની ઈચ્છા હતી કે લંડનમાં નેશનલ થિયેટર જેવું એક થિયેટર મુંબઈને મળે કે જ્યાં લોકો આખો દિવસ પસાર કરી શકે. અહીં બારેમાસ દરરોજ નાટકો તો થાય છે પણ સિવાય બીજી પણ અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. સિમ્ફની ઓર્કેસ્ટ્રા, ડોક્યુમેન્ટરી ફિલ્મો, મહેફિલ કે જ્યાં ઉર્દૂ સાહિત્યની ચર્ચા-રજૂઆત થાય, ઓપન માઈક વગેરે  અનેક સ્તરે સતત રચનાત્મક પ્રવૃત્તિઓ થતી રહે છે.  જો કે પ્રવૃત્તિઓનું પણ એક સ્તર સતત જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે એવું કુણાલ કપુર જણાવતાં કહે છે કે કેફે પણ મોંઘું નહીં પણ લોકોને પરવડે તેમ પણ થિયેટરનો ભાગ બની રહે તેનું ધ્યાન રાખીને ચલાવવા આપીએ છીએ. પછી અટકીને ઉમેરે છે કે થિયેટરમાં સસ્તી ટિકિટ રાખવી અને આખા પરિસરનું મેઈન્ટેનન્સ કાઢવા માટે પણ કેફૅને વિસ્તારવી પડી. તે છતાં અમે ગુણવત્તામાં કોઈ બાંધછોડ નથી કરવા દેતા. પૃથ્વી થિયેટર ખૂબ ઊંચા આદર્શ સાથે શરૂ થયું છે તેને બરકરાર રાખવાનું આજના જમાનામાં સહેલું નથી પણ અમે પ્રયત્ન કરીએ છીએ. તેમાં સરકાની કે બીજા કોઈની મદદ નથી હજી સુધી નથી.
થિયેટરની બહાર ગાર્ડન કેફૅની શરૂઆતમાં ફક્ત ચા- કૉફી પીરસાતા હતા. ધીમે ધીમે કેફૅમાં નાસ્તો પણ પીરસાવા લાગ્યો. આજે ત્યાં ફુલફ્લેજ્ડ રેસ્ટોરન્ટ ચાલી રહી છે એવું કહી શકાય. પરિસરમાં એક ખૂણામાં પેપર બેક બુકસ્ટોર છે જ્યાં પોપ્યુલર નહીં પણ સિલેકટેડ  સહેલાઈથી મળે એવા સાહિત્યના પુસ્તકો મળે છે. મન થાય તો એક બુક ખરીદીને બાજુમાં આવેલી કેફૅમાં કડક, સુલેમાની કે કાવા કે પછી પૃથ્વીની પ્રસિદ્ધ આઈરિશ કોફી પીતાં પીતાં વાંચી શકો. નાટક જોવા જાવ કે સિમ્ફનીનો આનંદ ઊઠાવ્યા બાદ સરસ કોફીને નાસ્તો કે પછી ભોજન કરી શકાય. અહીં દરેક પ્રકારની વાનગીઓ મળે છે હવે પણ પૃથ્વી કેફૅની આઈરિશ કોફી લોકપ્રિય  છે એવું કહી શકાય. મુંબઈ બહાર રહેતા કેટલાય નાટ્યપ્રેમીનું સપનું હોય છે કે એકવાર પૃથ્વી થિયેટરમાં નાટક જોવું અને આઈરિશ કોફી પીવી. આઈરિશ કોફીમાં આમ તો બ્લેક કોફીમાં આઈરિશ વ્હિસ્કી, સાકર અને વ્હીપ્ડ ક્રીમ હોય છે, એટલે કે કોફી આલ્કોહોલિક પીણું છે પણ હવે અહીં પૃથ્વી કેફેમાં ફક્ત તેની ફ્લેવર ઉમેરાય છે આલ્કોહોલ નહીં,  તે છતાં આઈરિશ કોફી એકવાર પીવા જેવી છે. કોફી ભાવતી હોય તો બીજા પીણાં તો છે પણ કાશ્મીરી કાવા પણ અદભૂત સ્વાદ ધરાવે છે. અહીં બમ્બઈયા સ્ટાઈલમાં ચા ગ્લાસમાં અને બન મસકા પણ મળે છે. ૨૪ રૂપિયાની ચા અને ૪૦ રૂપિયાના બન મસ્કા અને નાટકોના ક્રિએટિવ પોસ્ટરો સહિતનો તરવરાટ ભર્યો માહોલ મફતમાં. જો કે  આઈરિશ કોફી ૧૪૦ રૂપિયાની છે. 
પૃથ્વી થિયેટરના પરિસરમાં પ્રવેશતાં તમને અહીંના વાઈબ્રેશન અસર કરે .  મનની બંધિયારતાને તોડી ફોડીને અહીંનો તરવરાટ તમને રચનાત્મકતાની દુિનયામાં જવા મજબૂર કરે. એક જમાનો હતો કે કોઈ ખૂણામાં સત્યદેવ દૂબે બેસતાં અને તેની પાસે નાટક શીખવા માગતા અનેક નવ યુવાનો આવતા. નાટકોની વાતો કરતાં અનેક જાણીતા અજાણ્યા  ક્રિએટિવ વ્યક્તિત્વો હજી પણ આસપાસ બેઠેલા હોઈ શકે. કેફૅમાં બે વ્યક્તિઓ ૫૦૦ રૂપિયામાં પેટભરીને જમી શકે છે.  શની-રવિ દરમિયાન અહીં ટેબલ મેળવવા માટે લાઈન લગાવવી પડે. ખાલી ટેબલ મળવું મુશ્કેલ હોવા છતાં લોકોને દસ પંદર મિનિટ કે અડધો કલાક રાહ જોવામાં વાંધો નથી આવતો. બેઠક વ્યવસ્થા એકદમ હટકે  કેૅફૅ સ્ટાઈલ છે. પથ્થરનું ટેબલ તેની આસપાસ પથ્થરની  નાની નાની બેઠક. તમને સતત સતર્ક રાખે. હવે સાઈડમાં લાકડાની બેંચ અને ટેબલ પણ મૂક્યા છે. વરસાદમાં અહીં તાડપત્રી બાંધી હોય નહીં તો ખુલ્લા આકાશ અને વૃક્ષોની નીચે બેસવાનું હોય. પેટભરીને ખાવું હોય તો પરાઠા મંગાવી શકો. અમૃતસરી કુલચા સાથે દહીં રાયતું, અથાણું અને છોલે પીરસાય. ચીલી, ચીઝ કે મિક્સ મસાલા પરાઠા સાથે દાલમખની, દહીં રાયતું પીરસાય. એક પ્લેટમાં બે મોટા પરાઠા હોય.  બધામાં તેલ કે ઘી ખૂબ ઓછું. ઘરમાં બનતા હેલ્ધી પંજાબી ભોજનને ખાઈને તમારું પેટ ભરાય ખરું પણ ભારે નહીં થાય કે તો ખિસ્સુ હળવું થશે. પરાઠા થાલી ફક્ત ૧૩૦ રૂપિયામાં. આમ તો   અહીં રોજ તો તાંબાની થાળીમાં પીરસાય છે પણ શની-રવિના ખૂબ ગિરદી હોય ત્યારે પતરાળીમાં પીરસાય છે.  રાજમા-ચાવલ ખાવા હોય તો પણ મળે છે. સ્વાદ અસ્સલ પંજાબી. પાઉં ભાજી પણ મળે છે તેનો સ્વાદ મુંબૈયા હોવા છતાં કંઈક જુદો છે. ટેક્સચર એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ તો ખરું . કોન્ટિનેન્ટલ ખાવું હોય તો પાસ્તા પર કે હમસની વરાયટી મંગાવી શકો. જો કે હમસ અહીં થોડું માઈલ્ડ લાગ્યું, તેના ગુણધર્મથી થોડું ઓછું લસણ અને ઓલિવ ઓઈલમાં સ્વાદ ઓછો પડ્યો હોય એવું લાગ્યું. પણ પાસ્તા, નાચોઝ અને પીત્ઝા પર પસંદગી ઉતારી શકાય. સિવાય કેક્સ, પફ મળે છે પણ હેલ્ધી ઓપ્શન પરાઠા અને કાહવા અને આઈરિશ કોફી માટે વારંવાર જવા તૈયાર છીએ.  
આઈરિશ કોફીને પૃથ્વીના કેફૅના મેનુમાં મૂકવાનો વિચાર આવ્યો એડમેન પ્રહલાદ કક્કરને. વાચકોની જાણ ખાતર પ્રહલાદ કક્કર પોતો ખૂબ સારો કૂક છે. તેણે  શરૂઆતમાં પૃથ્વી કેફૅનું મેનુ સેટ કરવામાં મદદ કરી હતી પણ હવે તેમાંથી પરાઠાં અને આઈરિશ કોફી બચ્યા છે. દુખદ વાત છે કે એક જમાનામાં પૃથ્વી કેફૅ કલાકારોનું મિલન સ્થાન ગણાતું પણ હવે યુવાનોની ગિરદી એટલી થાય છે કે કલાકારો માટે કેફૅમાં જગ્યા બચી નથી. શાંતિથી બેસી શકાય, રચનાત્મક કામ કરી શકાય એવું રહેવાને કારણે કલાકારોએ અડ્ડો બદલ્યો હોય એવું લાગ્યું. પહેલીવાર જનારા માટે આજે પણ  પૃથ્વી હેપ્પનિંગ પ્લેસ છે. પણ અમારા જેવા જે વરસોથી અહીં જતાં હોય તેમને કંઈક ખૂટતું લાગે તે શાંત માહોલ જ્યાં કોઈ વાંચતું હોય, લખતું હોય કે ચર્ચા કરતા કલાકારો હોય. આવી બીજી જગ્યાઓ ઊભી થવી જોઈએ એવું કપુર ખાનદાનની ઈચ્છા છે. 

You Might Also Like

0 comments